Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

તાલાલામાં સફાઇ કામદાર સુનિલનો ઝેર પી આપઘાતઃ બે પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટમાં સારવાર વખતે દમ તોડયોઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૫: તાલાલા ગીર ખાતે વાલ્‍મિકીવાસમાં રહેતાં અને સફાઇ કામદાર તરીકે કામ કરતાં સુનિલ કાળાભાઇ વાઢેર (ઉ.વ.૩૦) નામના યુવાને એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

સુનિલ ગઇકાલે બપોરે નોકરી પુરી કરી ઘરે આવ્‍યા બાદ અચાનક એસિડ પી જતાં અને ઉલ્‍ટીઓ કરવા માંડતાં પરિવારજનોએ તાલાલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. અહિ ગત રાતે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ તાલાલા પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર સુનિલ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો. તેના આપઘાતથી બે માસુમ પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્‍યું છે. આપઘાત કરવો પડે તેવું કોઇ કારણ નહિ હોવાનું પરિવારજનોએ કહ્યું હતું. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(4:17 pm IST)