Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ઘર પાસે ઝઘડો કરવાની ના પાડવા જતા ચેતનભાઇ દેત્રોજા પર છરી અને પથ્‍થરથી હુમલો

ચુનારાવાડમાં બનાવ : કિશન ભરવાડ, સંજય દેવીપૂજક અને તેના નાનાભાઇ સામે ગુનો

રાજકોટ તા. ૨૫ : શહેરના ચુનારાવાડમાં ઘર પાસે ઝઘડો કરવાની ના પાડવા જતા યુવાન પર ત્રણ શખ્‍સોએ ઝઘડો કરી છરી તથા પથ્‍થરના ઘા કરી ઇજા કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ચુનારાવાડ ચોક પાસે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૧૦માં રહેતા ચેતનભાઇ બાબુભાઇ દેત્રોજા (ઉ.વ.૪૫) એ થોરાળા પોલીસ મથકમાં ચુનારાવાડ શેરી નં. ૧૪ના કિશન ભરવાડ તથા સુલભ શૌચાલય પાસે સંજય દેવીપૂજક અને તેનો નાના ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે. ચેતનભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે પોતે ઘરે જમીને પોતાની રીક્ષા લઇને પોતાના ઘરના ફળીયામાં મુકવા માટે ઘરની બહાર નીકળેલ ત્‍યારે ત્‍યાં બહાર કિશન ભરવાડ તથા હંસાબેન દેવીપૂજકનો દીકરો સંજય અને તેનો નાનો ભાઇ ત્રણેય અન્‍ય સામસામા બોલચાલી અને ગાળો બોલતા હોઇ, જેથી પોતે તેઓને પોતાના ઘર પાસે ઝઘડો કરવાની ના પાડતા તેઓ પોતાનો ઝઘડો પડતો મુકી આ ત્રણેય એકસંપ કરી પોતાની સાથે ઝઘડો કરવા લાગ્‍યા હતા અને કિશન ભરવાડે નેફામાંથી છરી કાઢી હવામાં વીંજવા લાગ્‍યો હતો અને સંજય અને તેના નાના ભાઇએ કંઇ વિચાર્યા વિના છૂટા પથ્‍થરના ઘા કરતા પોતાને કપાળના ભાગે, ડાબા હાથમાં કાંડા અને જમણા હાથના અંગુઠા પર છરકા કરી દેતા ઇજા થઇ હતી. દેકારો બોલતા પત્‍ની પુરીબેન તથા પાડોશીઓ આવી જતા પોતાને છડાવ્‍યા હતા બાદ પોતાને ૧૦૮ મારફતે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એચ.બી.વડાવીયા સહિતે તપાસ હાથ ધરી હતી.

(4:20 pm IST)