Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જડેશ્વર પાર્કના ૭૫ વર્ષના રામભાઇ આહિરની કારખાનામાં આત્મહત્યા

સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં: સવારે કારખાના માલિક આવ્યા ત્યારે છતના હુકમાં વાયર બાંધી ગળાફાંસો ખાઇ લીધેલા મળ્યાઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૫: કોઠારીયા રોડ ખોખડદળ નદી પાસે જડેશ્વર પાર્ક-૨માં રહેતાં રામભાઇ મુળુભાઇ બાલાસરા (ઉ.વ.૭૫) નામના આહિર વૃધ્ધે ઘર નજીક આવેલા કારખાનામાં આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ રામભાઇ બાલાસરા ઘર નજીક હરિઓમ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા સાગર ફાઉન્ડ્રી નામના કારખાનામાં સિકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતાં હતાં. સવારે કારખાનાના માલિક આવ્યા ત્યારે અંદર છતના હુકમાં વાયર બાંધી રામભાઇ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતાં ૧૦૮ને અને પોલીસને જાણ કરી હતી. તબિબે તેમને મૃત જાહેર કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી.

રામભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. આપઘાતનું કારણ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:47 pm IST)