Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અભિનેતા પરકાયા પ્રવેશ કરતો જ નથી એ તો સ્‍વકાયા પ્રવેશ કરે છે, પરકાયા પ્રવેશ તો લેખક કરે છેઃ વરિષ્‍ઠ નાટયવિદ ભરત યાજ્ઞિક

ગુજરાતીઓએ મરાઠી અને બંગાળીઓની જેમ ભાષાને પ્રેમ કરતા શીખવો જોઇએઃ નાટયકાર, કવિ અને સાહિત્‍યકાર શૈલેષ ટેવાણી : કમિશનર, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના આર્થિક સહયોગથી કામ્‍યા ગોપલાણી લિખિત બે મૌલિક એકાંકી નાટકનું નાટય મંચન થયું: સાજન ટ્રસ્‍ટ, રાજકોટ આયોજીત કામ્‍યા ગોપલાણી લિખિત મોલિક એકાંકી નાટય સંગ્રહ ‘સતરંગી રે..'નું વિમોચન થયું

રાજકોટ તા. ૨૬ : કમિશનર, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ - ગાંધીનગરનાં આર્થિક સહયોગથી કામ્‍યા ગોપલાણી લિખિત બે નાટકોનું નાટ્‍ય મંચન સાજન ટ્રસ્‍ટ અને શિવમ ફાઉન્‍ડેશન દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ તકે ‘સતરંગી રે...' -  મૌલિક એકાંકી નાટ્‍ય સંગ્રહ પુસ્‍તકનું વિમોચન કરવામાં આવ્‍યું હતું. વિમોચન પ્રસંગે ‘સતરંગી રે...' મૌલિક એકાંકી નાટ્‍યસંગ્રહના જ બે નાટકો રાજકોટનાં શિવમ ફાઉન્‍ડેશન અને સાજન ટ્રસ્‍ટ દ્વારા, જયારે જાત કરતાં બીજા ઉપર વધુ વિશ્વાસ હોય ત્‍યારે પાંગરતા પ્રેમની પરાકાષ્ઠાની પરીક્ષા કરતું નાટક ‘કથા એક વિશ્વાસની' અને મનમાં ઉદભાવતા પ્રશ્નોને મૈત્રી કરારથી જવાબ મેળવવાનો અનોખો પ્રયાસ કરતું નાટક ‘કૃષ્‍ણા'ની ભજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કલાકારો આરજે ધારા, વૃંદા નથવાણી, અમિત વાઘેલા, ભાવિતા જેઠવા, શૃંગાર રૂઘાણી, મૈત્રી પીલોજપરા, અનિલ જગડ, હર્ષિત ચૌહાણ, શાહરુખ પઠાણ, ગુલામહુશેન આગવાન, વિવેક પંડ્‍યા, હિમાંશુ પાડલિયા, અનિલ જગડ, રમીઝ સાલાણી, મહેક માધાણી, રાકેશ કડિયા(સાંઈ આર્ટ), વિક્રમ ઠાકર, રાજવીર રાઠોડ, પ્રદીપ નિર્મળ, હર્ષિત ઢેબર, મેહુલ મેર, મોન્‍ટુભાઇ સહિતનાઓએ પોતાની વિવિધ કલાઓ એક્‍ટિંગ, સેટ, ડિઝાઇન, મેકઅપ, કોસ્‍ટ્‍યુમ, પ્રકાશ રચના, નેપથ્‍ય, મ્‍યુઝિક વગેરે પ્રદર્શિત કરી હતી. ‘કથા એક વિશ્વાસની' નાટકનું દિગ્‍દર્શન રાજકોટનાં શિવમ્‌ ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટી ગૌતમ દવે અને ‘કૃષ્‍ણા' નાટકનું દિગ્‍દર્શન સાજન ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી ચેતન ટાંક દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં વરિષ્ઠ નાટ્‍યવિદ ભરત યાજ્ઞિક, નાટ્‍યકાર, કવિ અને સાહિત્‍યકાર શૈલેશ ટેવાણી, નાટ્‍ય લેખક અને અભિનેતા અરવિંદ રાવલ,  ઉત્‍સવ ગ્રુપ, રાજકોટનાં દિનેશ વિરાણી, સૌરાષ્ટ્ર યુનવર્સિટીના પત્રકારત્‍વ ભવનના હેડ ડો. નિતાબેન ઉદાણી, જે.એચ. ભાલોડીયા વુમન્‍સ કોલેજનાં પ્રિન્‍સિપાલ ડો. નિલેશ કાનાણી, કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, એનિમલ હેલ્‍પલાઇન, રાજકોટનાં પ્રમુખ મિત્તલ ખેતાણી, સિંધી સમાજના અગ્રણીઓ બાબા ટહેલિયારામ મંદિર સાહેબ, રાજકોટનાં ગાદીપતિ સાંઈ સુખદેવલાલજી, સિંધી સમાજ, રાજકોટનાં પ્રમુખ લીલારામભાઈ પોપટાણી, આજકાલ પ્રેસ રાજકોટનાં ધનરાજભાઈ જેઠાણી, સિંધી સમાજનાં અગ્રણી  આત્‍મારામભાઈ બેલાણી, સિંધી સમાજ અગ્રણી તથા ઉદ્યોગપતિ બ્રીજલાલ સોનવાણી, કોર્પોરેટર શ્રીમતી કુસુમબેન ટેકવાણી,  ભાજપ અગ્રણી સુનિલભાઈ ટેકવાણી,  પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ભારતીય સિંધુ સભા, મહિલા પાંખનાં શ્રીમતી અનીતાબેન ચાનગ્રાણી, શ્રી માત પિતા સ્‍મૃતિ ટ્રસ્‍ટ, રાજકોટનાં શ્રીમતી ગોરીબેન વિરાણી, દીક્ષેશ પાઠક, ફાઉન્‍ડર ઓફ વિશ્વેશ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ નેચરોપથી એન્‍ડ યોગ, વરિષ્ઠ પત્રકાર અને લેખક કિશોર ડોડીયાએ મુખ્‍ય મહેમાનો તરીકે હાજરી આપી હતી.

 કાર્યક્રમમાં વરિષ્ઠ નાટ્‍યવિદ ભરત યાજ્ઞિક  દ્વારા આશિર્વચન આપતા જણાવ્‍યું હતું કે, ‘અભિનેતા પરકાયા પ્રવેશ કરતો જ નથી એ તો સ્‍વકાયા પ્રવેશ કરે છે. પરકાયા પ્રવેશ તો લેખક કરે છે. અન્‍ય લેખન કરવા સહેલા છે નાટ્‍ય લેખન ખૂબ જ મુશ્‍કેલ છે.'

નાટ્‍યકાર, કવિ અને સાહિત્‍યકાર શ્રી શૈલેશ ટેવાણીએ જણાવ્‍યું હતું કે, ‘સર્જકે નાની નાની વાત કાનસની જેમ ઘસવી પડતી હોય છે. ગુજરાતીઓએ ભાષાને પ્રેમ કરતા શીખવો જોઈએ. મરાઠી અને બંગાળી લોકોએ ભાષાને પ્રેમ કર્યો છે.'  સૌરાષ્ટ્ર યુનવર્સિટીના પત્રકારત્‍વ ભવનના હેડ ડો. નિતાબેન ઉદાણી અને ભાજપ અગ્રણી સુનિલભાઈ ટેકવાણીએ કામ્‍યા ગોપલાણી તેમજ સાજન ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી ચેતન ટાંક અને શિવમ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટી ગૌતમ દવેને શુભેચ્‍છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સાજન ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી ચેતન ટાંક અને શિવમ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટી ગૌતમ દવેએ જહેમત ઉઠાવી હતી.

(4:31 pm IST)