Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ચારીત્ર્ય પર શંકા કરી અને દહેજ લાવવા દબાણ કરી અમદાવાદમાં રિધ્ધીબેન અંટાળાને ત્રાસ

રાજકોટની મહિલાની ફરિયાદ : પતિ કહેતો 'મારે અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે, તું ગમતી નથી, તેના જેવી પાતળી જઇ જા' : કોરોના થઇ જતા પતિ - સાસરિયાએ માવતરે કાઢી મુકી : પતિ રાહુલ, સાસુ મંજુલાબેન, નણંદ વૈદર્ભી અને નણદોયા સુદીપ સામે ગુનો

રાજકોટ તા. ૨૬ : કાલાવડ રોડ ઇન્દીરા સર્કલ પાસે રોયલ પાર્કમાં માવતર ધરાવતી મહિલાને અમદાવાદમાં પતિ 'મારે અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે, તુ ગમતી નથી તેના જેવી પાતળી થઇ જા' તેમજ દહેજ લાવવા માટે દબાણ કરી પતિ, સાસુ, નણંદ અને નણદોયા સામે ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઇન્દીરા સર્કલ પાસે રોયલ પાર્ક શેરી નં. ૨માં માવતર સાથે રહેતા રિધ્ધીબેન રાહુલભાઇ અંટાળા (ઉ.૩૧)એ મહિલા પોલીસ મથકમાં અમદાવાદ સુકનગ્લોરી રોડ પર ગીતા બ્રીજ પાસે રહેતા પતિ રાહુલ રસીકભાઇ અંટાળા, સાસુ મંજુલાબેન રસીકભાઇ અંટાળા તથા રાજકોટ દોઢ સો ફુટ રોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાછળ મોમ્બાસા પાર્ક શેરી નં. ૨માં રહેતા નણંદ વૈદર્ભી સુદીપ મહેતા અને નણદોયા સુદીપ અનંતરાયભાઇ મહેતા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રિધ્ધીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના ૨૦૧૯માં અમદાવાદના રાહુલ રસીકભાઇ અંટાળા સાથે રાજકોટ ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ, સાસુ સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા. લગ્ન બાદ પતિએ ત્રણ મહિના સારી રીતે રાખેલ બાદ પતિ પોતાને કહેતો કે 'મારે અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ છે, તું મને ગમતી નથી તેના જેવી પાતળી થઇ જા' તેમ કહી ઝઘડો કરી મારકુટ કરતો હતો તેમજ સાસુ નાની નાની વાતમાં ચઢામણી કરતા અને કહેતા કે તે તેના પિયરમાંથી કઇ કરીયાવર લાવી નથી આવીને ઘરમાં ન રખાય તેમ વારંવાર મેણાટોણા મારતા હતા તેમજ કરિયાવર બાબતે પણ ઝઘડો કરી મારકુટ કરતા હતા તથા નણંદ અને નણદોયા પિયરમાંથી દહેજ લઇ આવવા બાબતે પતિ અને સાસુને અવાર-નવાર ચઢામણી કરતા હતા. પતિ પોતાના પર શંકા-કુશંકા કરી ઝઘડો કરી માર મારતો હતો. ગત એપ્રિલ માસમાં પોતાને કોરોના થઇ જતા સાસુ અને પતિએ પોતાને કોઇ હોસ્પિટલે પણ ન લઇ ગયા અને સારવાર પણ કરાવી નહી જેથી પોતે પતિને માવતરે મુકી જવા કહેતા પતિએ કહેલ કે તારા પિતાને કહે આવીને તેડી જાય હું મુકવા નહી આવું તેમ કહેતા પોતાને ભાઇ આવીને તેડી ગયો હતો. ત્યારથી પોતે માવતર સાથે રહે છે. પતિ કે સાસુએ કોઇ ફોન કે સંભાળ લીધી નથી. બાદ પિતાએ ફોન કરતા પતિએ કહેલ કે 'મારે વિદેશ જવાની ફાઇલ તૈયાર થઇ ગઇ છે તો હવે શું કરવાનું છે.' કહેતા પિતાએ દીકરીને લગ્નમાં આપેલા દાગીના અને સરસામાન પરત કરી દેવાનું કહેવા છતાં તે લોકોએ સામાન પરત કર્યો નથી. બાદ સમાધાન માટે કહેતા પતિ સાસરીયાઓએ સમાધાનની ના પાડી દેતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે.જી.ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

(3:30 pm IST)