Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ચારિત્ર્ય પર શંકા કરી પતિ ત્રાસ આપતો હોવાથી પ્રતિમાએ આપઘાત કરી લીધો'તો

સંત કબીર રોડ સંસ્કારવિલાની સાઇટ પર ૨૨મીએ ગળાફાંસો ખાધો'તો : ઓરિસ્સાથી આવેલા મૃતકના ભાઇની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૭: સંત કબીર રોડ પર સંસ્કારવિલા સોસાયટીમાં રવિભાઇ ગજેરાની સાઇટ પર રહી મજૂરી કરતાં મુળ ઓરિસ્સાની પ્રતિમા ઉર્ફ બોબી બિક્રમ નાગ (ઉ.૨૩)એ ગત ૨૨મીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં જે તે વખતે કારણ બહાર આવ્યું નહોતું. દરમિયાન તેણીએ પતિ દ્વારા ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ અપાતો હોવાને કારણે આપઘાત કરી લીધાનું ખુલતાં પોલીસે મૃતકના પતિ સામે ગુનો નોંધ્યો છે.

બી-ડિવીઝન પોલીસે છત્તીસગઢના દુર્ગ જીલ્લાના ચરોદા તાબેના સાગરપારા ગામના ગોવિંદ માધાવભાઇ મહાનંદ (ઉ.૩૫)ની ફરિયાદ પરથી તેના બનેવી ઓરિસ્સતાના બરપાલીગામના બિક્રમ જામુ નાગ (રહે. હાલ રવિભાઇ ગજેરાની સાઇટ, સંત કબીર રોડ, સંસ્કાર વિલા સોસાયટી) સામે આઇપીસી ૩૦૬, ૪૯૮ (ક), ૩૨૩ મુજબ ગુનો નોંધ્યો છે.

ગોવિંદ મહાનંદે ફરિયાદમાં જણાવ્યું છે કે મારી બહેન પ્રતિમા ઉર્ફ બોબીએ પાંચ વર્ષ પહેલા બિક્રમ જામુ નાગ સાથે લવમેરેજ કર્યા હતાં. તેણીને સંતાનમાં એક પુત્ર છે. લગ્ન બાદ બનેવી બિક્રમે દહેજ સહિતની બાબતે ત્રાસ ચાલુ કર્યો હતો. તેણે ટુવ્હીલર માંગતા અમે લઇ દીધુ હતું. સમયાંતરે પૈસા પણ મોકલતો હતો. તે વખતે તે વતનમાં જ રહેતો હતો. છેલ્લા પાંચેક મહિનાથી બનેવી બિક્રમ અને મારી બહેન પ્રતિમા ઉર્ફ બોબી રાજકોટ રહેવા આવી ગયા હતાં. અહિ મારી બહેનને પણ કડીયા કામમાં જોડી દીધી હતી. તે ચારિત્ર્ય પર શંકા કરી મારી બહેનને મારકુટ પણ કરતો હોઇ જેથી કંટાળી જઇ તેણીએ ગળાફાંસો ખાઇ લીધો હતો. પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં પીએસઆઇ પી. એ. ગોહેલે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(4:33 pm IST)