News of Monday, 27th June 2022
કચ્છની પાવન ધરા..તેમાં પણ વાગડનું મનફરા ગામ કે જે તીર્થભૂમિ તરીકે ઓળખાય છે..કારણકે આ ભૂમિ ઉપરથી એક - બે નહીં પરંતુ એકસોથી વધારે હળુ કર્મી આત્માઓ મૂર્તિપૂજક સમુદાયમાં તેમજ અનેક આત્માઓ સ્થાનકવાસી સમાજમાં દીક્ષિત બન્યાં છે.
અરે ! આ જ મનફરાની પુનિત ભૂમિમાં રત્નકુક્ષિણી માતુશ્રી ગોરીબેન અને ધર્મ પરાયણ પિતા માલશીભાઈ વેરશીભાઈ સત્રા પરિવારના ખાનદાન અને ખમીરવંતા ખોરડે અવતરેલ ચાર ચાર સગા બહેનોએ અજરામર સંપ્રદાયમાં જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી જિન શાસનમાં ડંકો વગાડેલ છે.
અજરામર સંઘના સેવાભાવી પ્રમુખ મધુભાઈ ખંધાર તથા ટ્રસ્ટી એડવોકેટ કમલેશભાઈ શાહે સંયુક્ત રીતે મનોજ ડેલીવાળાને માહિતી આપતાં જણાવ્યું કે આજથી ૩૮ વર્ષ પૂર્વે વિક્રમ સંવત ૨૦૪૦ વૈશાખ સુદ પાંચમના પાવન દિવસે તા.૬/૫/૧૯૮૪ ના સોનેરી સૂર્યોદયે મનફરા સંયમ નગરીમાં અનંત ઉપકારી લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂ.ભાવચંદ્રજી સ્વામીના શ્રી મુખેથી સગા બે બહેનોએ દેવોને પણ દૂર્લભ એવો કરેમિ ભંતેનો પાઠ ભણી સંયમ ધર્મ અંગીકાર કરેલ.
સત્રા પરિવારના મોભી દાદીમાંએ પોતાની પૌત્રીઓને જૈન શાળા જવાની શુભ પ્રેરણા કરેલ.સમય જતાં આ પાવન પ્રેરણા પંચ મહાવ્રતધારી આત્મા બનવામાં નિમિત્ત બની.
સાધ્વી રત્ના પૂ.રચનાકુમારીજી મ.સ.એવમ્ પૂ.ખેવના કુમારીજી મ.સ.એ સંયમ અંગીકાર કરી પરમ ઉપકારી ગુરુણી મૈયા પૂ.રત્ન - સૂર્ય - સુલોચના મૈયાનું સાનિધ્ય સ્વીકારી આત્મ ભાવમાં રમણતા કરવા લાગ્યાં. સાધ્વી રત્ના પૂ.રચનાકુમારીજી મ.સ.એવમ્ પૂ.ખેવનાકુમારીજી મ.સ.ના સત્સંગ ,જીવન અને વાણીથી પ્રભાવિત થઈ તેઓના સગા બે બહેનો પૂ.ધરાકુમારીજી મ.સ.અને પૂ.લબ્ધિકુમારીજી મ.સ.ની દીક્ષા થઈ.
ત્રણ દાયકા પૂર્વે તા.૨૬/૨/૧૯૯૩ વિ.સં.૨૦૪૯ ફાગણ સૂદ પાંચમના પવિત્ર દિવસે પરમ ભાગ્યશાળી ઘાટકોપર સ્વાધ્યાય સંઘમાં અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ અનંત ઉપકારી પૂ.ગુરુદેવ ભાવચંદ્રજી મ.સા.નાᅠ જ શ્રી મુખેથી દીક્ષા મંત્ર અંગીકાર કરી સત્રા પરિવારની અન્ય સગી બે બહેનો પોતાના વડીલ ભગીનીના માર્ગે ચાલી ચાર ચાંદ લગાવ્યા.
સાધ્વી રત્ના પૂ.રચનાકુમારીજી મ.સ.,પૂ.ખેવનાકુમારીજી મ.સ.,પૂ.ધરાકુમારીજી મ.સ.એવમ્ પૂ.લબ્ધિકુમારીજી મ.સ...સગા સહોદર બહેનો જિનાજ્ઞા અને ગુરુજ્ઞા મુજબ સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર,કચ્છ વગેરે ક્ષેત્રોમાં વિચરણ કરી સ્વ - પરના કલ્યાણ સાથે જિન શાસનની આન - બાન - શાન વધારી રહેલ છે. ગોહિલવાડ ગઢડામાં પણ તેઓએᅠ વર્ષાકાલનો લાભ આપેલો છે. ચાર સહોદર સાધ્વીજી ભગવંતના પદાર્પણથી શ્રી સંઘમાં અનેરો ઉત્સાહ વર્તાય રહ્યો છે તેમ વૈયાવચ્ચ પ્રેમી ટ્રસ્ટી કિરીટભાઈ સંઘવીએ જણાવેલ છે.(૨૧.૨૩)
: સંકલન :
મનોજ ડેલીવાળા
રાજકોટ.
મો. 98241 14439