Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કણકાટ ચોકડીએ નવા બિલ્ડીંગમાં પ્લાસ્ટર કરતી વખતે ઝૂલા પરથી પટકાતાં મજૂરનું મોત

મુળ દાહોદના જાલોદ પંથકના અજય નિનામાને હોસ્પિટલમાં ખસેડાયો પણ જીવ ન બચ્યોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૨૭: કાલાવડ રોડ પર કણકોટ ચોકડી પાસે બની રહેલી વિઝન બિલ્ડીંગની સાઇટ પર કડીયા કામ કરતી વખતે ત્રીજા માળેથી પડી જતાં દાહોદ પંથકના મજૂરનું મોત નિપજતાં પરિવારજનોમાં અને સાથી મજૂરોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ કણકોટ ચોકડીએ બની રહેલી બિલ્ડીંગની સાઇટ પર પ્લાસ્ટર કામની મજૂરી કરતો અજય કાળુભાઇ નિનામા (ઉ.વ.૨૮) નામનો યુવાન ત્રીજા માળે ઝૂલામાં બેસી પ્લાસ્ટર કામ કરતો હતો ત્યારે બોલ્ટ તૂટી જતાં અકસ્માતે નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં તાલુકાના પીએસઆઇ ડી. વી. ખાંભલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર અજય મુળ દાહોદના જાલોદ તાબેના કારઠનું રૂખડી ફળીયા ગામનો વતની હતો. અહિ પરિવારજનો સાથે રહી મજૂરી કરતો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. 

(3:02 pm IST)