રાજકોટ વિધાનસભા ૬૮, ૬૯ અને ૭૦ ની સીટ ઉપર ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવારો શ્રી ઇન્દ્રનીલ રાજયગુરૂ, મનસુખભાઇ કાલરીયા અને હિતેષભાઇ વોરાએ રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો-ટ્રસ્ટીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી તે વખતની તસ્વીર. મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ પોતાના નિવાસસ્થાને સૌને આવકાર્યા હતા અને મીઠુ મોઢું કરાવ્યું હતું. લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી શ્રી ગોપાલભાઇ અનડકટ, અતુલભાઇ રાજાણી, સિધ્ધાર્થભાઇ ભટ્ટ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ તા. ર૬ :.. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજકોટ - સૌરાષ્ટ્રમાં ૧ ડીસેમ્બર, ર૦રર એટલે કે માત્ર પાંચ દિવસ પછી જ મતદાન થવાનું છે ત્યારે તમામ રાજકીય પક્ષોનો પ્રચાર અંતિમ ચરણમાં પહોંચી ગયો છે.
સમગ્ર રાજકોટમાં રઘુવંશીઓની અંદાજે અઢી લાખ જેટલી વસ્તી છે ત્યારે વિધાનસભા-૬૮, ૬૯ અને ૭૦ (રાજકોટ-૧-ર-૩) ની સીટ ઉપરથી આ વખતે ધારાસભાની ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવારો શ્રી ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ, શ્રી મનસુખભાઇ કાલરીયા, અને શ્રી હિતેષભાઇ વોરાએ રઘુવંશીઓની માતૃસંસ્થા ગણાતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ, હોદેદારો, ટ્રસ્ટીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂના નિવાસ સ્થાને આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન કોંગ્રેસ પ્રદેશ અગ્રણી શ્રી ગોપાલભાઇ અનડકટ, અતુલભાઇ રાજાણી, નિતીનભાઇ નથવાણી, ડો. રાજદીપસિંહ જાડેજા, સિધ્ધાર્થભાઇ ભટ્ટ વિગેરે હાજર રહ્યા હતાં.
રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અન્ય હોદેદારો-ટ્રસ્ટીઓ, શ્રીમતી રીટાબેન કોટક, ધવલભાઇ ખખ્ખર, શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતાં.
સમગ્ર ગુજરાતમાં તમામ મહત્વના ક્ષેત્રોમાં રઘુવંશી સમાજની આગવી ઓળખ છે ત્યારે રાજકીય રીતે રઘુવંશી સમાજને નોંધપાત્ર પ્રતિનિધિત્વ મળવું જોઇએ તેવી ટકોર રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ કોંગી ઉમેદવારોની શુભેચ્છા મુલાકાત દરમ્યાન કરી હતી.
આ ટકોર સંદર્ભે રાજકોટ-૧ ના કોંગી ઉમેદવાર અને ધરખમ નેતા શ્રી ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ સમગ્ર સમાજ-મહાજનના નેજા હેઠળ રઘુવંશીઓએ ચોકકસ ટીકીટ માંગવી જોઇએ તેવું જણાવ્યું હતું. આ વખતે વિધાનસભામાં કોંગ્રેસ માટે ઉજળા સંજોગો હોવાનું અને આમ આદમી પાર્ટી ભાજપના મત તોડશે તેવું ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ જણાવ્યું હતું.
કોંગ્રેસના ઉમેદવારોની રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો ટ્રસ્ટીઓ સાથેની શુભેચ્છા મુલાકાત દરમ્યાન રઘુવંશી સમાજ સહિત અન્ય સમાજના આગવાનો પણ જોડાયા હતાં. જેમાં જીજ્ઞેશભાઇ જોષી, સુરેશભાઇ ચેતા, મનુભાઇ કોટક, સંજયભાઇ લાખાણી, સિધ્ધાર્થભાઇ ભટ્ટ, હિતેનભાઇ પારેખ, આશીષભાઇ પુજારા, મયંકભાઇ બુધ્ધદેવ, અશ્વિનભાઇ મીરાણી, રાજુભાઇ નાગ્રેચા, હિતેન્દ્રભાઇ વડેરા, તૃપ્તિબેન રાજવીર સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.
શુભેચ્છા મુલાકાત દરમ્યાન અંતમાં આભારવિધી રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ કરી હતી અને લોકશાહીના સાચા જતન માટે એક - એક મત કિંમતી હોવાનું કહ્યું હતું. હાજર રહેલ તમામ અગ્રણીઓએ લોકશાહીને મજબુત બનાવવા અવશ્ય મતદાન કરવું જોઇએ અને મતદાન કરાવવા અન્યોને પણ પ્રોત્સાહીત કરવા જોઇએ તેવો મત વ્યકત કર્યો હતો. (પ-રપ)
ઞ્જ મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂના જનકલ્યાણ સોસાયટી ખાતેના નિવાસસ્થાને કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો ઉપરાંત ગોપાલભાઇ અનડકટ, અતુલભાઇ રાજાણી, મહાજનના કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિતના હોદ્દેદારો-ટ્રસ્ટીઓ હાજર રહ્યા
ઞ્જ રઘુવંશી સમાજના રાજકીય પ્રતિનિધિત્વ સંદર્ભે રાજુભાઇ પોબારૂએ ટકોર કરી
ઞ્જ આ વખતે વિધાનસભામાં કોંગ્રેસ માટે ઉજળા સંજોગો અને ‘આપ' ને કારણે ભાજપના મત તૂટશે તેવો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો વિશ્વાસ