Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

શ્રી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે રંજનબેનનું વિનામુલ્યે સફળ ઓપરેશન

રાજકોટઃ 'દિલ વિધાઉટ બીલ' ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે હૃદયરોગના ગરીબ દર્દીઓને   વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદય ના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજયોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના  માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .

આવાજ એક દર્દી રંજનબેન રમેશભાઈ મુળીયા (ઉં.વ.૪૪, ગાયત્રીનગર, ભકિતનગર સર્કલ, રાજકોટ)ના છેલ્લા ૨૫ વર્ષોથી હૃદય રોગથી પીડાતા હતા. આ દર્દીના કુટુંબમાં ૪ વ્યકિતઓ છેં. દર્દીના પતિ અને પુત્ર લેબર વર્ક તથા નોકરી કરે છે અને આશરે મહિને ૧૪ થી ૧૫ હજાર રૂપિયાની આવક ધરાવે છે.

 આ દર્દીએ થોડા વર્ષે પહેલા હૃદયનો વાલ્વ સાંકડો થઇ જવાને લીધે ચેરીટેબલ હોસ્પિટલમાં પાંસળી (RIBS) ખોલી વાલ્વ પહોળો કરાવેલ હતો. આમ છતાં ફરી પાછું તેમને ઘણાં વર્ષોથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને અવારનવાર હૃદયના ધબકારા વધી જવાથી કોઈ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ થઇ સારવાર લેવી પડતી હતી. જે ખુબજ ખર્ચાળ અને આર્થિક મુશ્કેલી ઉભી કરતી હતી. આથી તેમણે એક હોસ્પિટલમાં નિદાન કરાવેલું જયાં તેઓને હૃદયનો વાલ્વ બદલવો પડશે. જેનો ખર્ચ વધારે આવશે તેવી જાણકારી આપવામાં આવી હતી. આર્થિક મુશ્કેલીને હિસાબે દર્દી રંજનબેન ફરી વખત વાલ્વનું ઓપરેશન કરાવી શકે તેમ ન હતાં.

 આથી તેમણે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ વિશેની માહિતી હોવાથી નિદાન માટે તેઓ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે આવેલા. તેમના જરૂરી તમામ રિપોર્ટસ બાદ હૃદય નો વાલ્વ બદલવો પડશે તેમ દર્દી ને જાણ કરી અને તેમને સર્જરી માટે દાખલ કરવામાં આવેલ હતા. આ દર્દીનો વાલ્વ ખુબ જ સાંકડો અને જાડો થઇ ગયો હતો અને વાલ્વ ઉપર ખુબ જ પ્રમાણમાં કેલ્શિયમ જમા થઇ ગયું હતું. બીજી વારનું ઓપરેશન ખુબ જ જટીલ હોય છે. આ ખુબ જટિલ ઓપરેશન સફળતા પૂર્વક વિનામૂલ્યે કરવામાં આવેલ હતું અને દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ   હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

 આમ બાબાનાં આશીર્વાદથી આ બીજી વખતનું જટિલ ઓપરેશન સફળતા પૂર્વક કરીને દર્દીને નવું જીવન પ્રાપ્ત થયું છે.

(2:58 pm IST)