Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

અનુલોમ - વિલોમ : શા માટે અને કેવી રીતે ?

 કોરોના ફેફસાને અસર કરે છે.

 ફેફસામાં સંક્રમણના કારણે શરીરમાં ઓકસીજન લેવલ

   ઓછું થઇ જાય છે.

 અનુલોમ-વિલોમ અને પ્રાણાયામ ફેફસા માટે લાભપ્રદ છે.

કોરોનાના પ્રભાવથી કોઇ અજાણ નથી. કોરોના એક ગંભીર મહામારીના સ્વરૂપમાં લોકોને પ્રભાવિત કરી રહ્યા છે. કોરોનાની સીધી અસર ફેફસા ઉપર થાય છે અને શ્વાસ લેવા અથવા છોડવામાં તકલીફ અનુભવાય છે. એના કારણે શરીરમાં ઓકસીજન લેવલ ઓછું થવા લાગે છે અને પરિસ્થિતિ અત્યંત ખરાબ બની જાય છે.

શ્વાસ એ જ જીવન. પ્રાણવાયુ એક માત્ર સાધન છે જેના કારણે માનવને જીવનનું અસ્તિત્વ છે. પ્રાણવાયુના પ્રવાહને સંતુલિત રાખવું એ અત્યંત જરૂરી છે. પ્રાણાયામ આ એક સરળ અને સહજ પ્રક્રિયા છે જેના માધ્યમથી શરીરમાં પ્રાણવાયુને સંતુલિત રાખી શકાય છે. યોગમાં પ્રાણાયામને મહત્વ આપવામાં આવ્યું છે. જો નિયમિત રીતે પ્રાણાયામના અભ્યાસ કરવામાં આવે તો અનેકો લાભ મળી શકે છે.

અનુલોમ - વિલોમ પ્રાણાયામ : યોગ શાસ્ત્ર અનુસાર શરીરમાં બોતેર હજાર નાડીઓ છે. જેમાં ઇંડા, પિંગલા અને સુષુમ્ના મુખ્ય નાડીઓ માનવામાં આવે છે. પ્રાણાયામ દ્વારા નાડીઓનો શુધ્ધિકરણ થાય છે અને શરીર વ્યાધિમુકત બને છે. યોગમાં રેચક (શ્વાસને બહાર કાઢવું), પુરક (શ્વાસને અંદર લેવું) અને કુંભક (શ્વાસને રોકવું)નો પણ ઉલ્લેખ છે જેનો અભ્યાસ પ્રાણાયામમાં કરવામાં આવે છે. અનુલોમ - વિલોમને નાડી શુધ્ધિ પ્રાણાયામ પણ કહેવામાં આવે છે જેના અભ્યાસથી નાડીઓ શુધ્ધ થાય છે.

કોઇપણ સ્થિતિમાં જેમ કે સુખાસન, અર્ધ પદ્માસન, પદ્માસન કે વજ્રાસનમાં ટટ્ટાર બેસીને અનુલોમ - વિલોમ પ્રાણાયામ કરી શકાય છે.

નાસિકા પર હાથની સ્થિતિ : અનુલોમ - વિલોમ માટે હસ્તમુદ્રાનો વિશેષ મહત્વ હોય છે. જમણા હાથની આંગળીઓને વિષ્ણુ મુદ્રા બનાવી અંગુઠાના જમણા નાસિકા પર સ્પર્શ કરીને રાખવું.

અનુલોમ-વિલોમની વિધિ

(૧) ડાબી નાસિકાથી ઉંડો શ્વાસ લેવો (૨) જમણી નાસિકાથી શ્વાસ બહાર કાઢવો  (૩) જમણી નાસિકાથી શ્વાસ અંદર લેવો (૪) ડાબી નાસિકાથી શ્વાસ બહાર કાઢવો.

આ એક આવૃતિ કહેવાય છે. આ જ રીતે સમયની અનુકુળતા મુજબ ૫ થી ૧૦ મીનીટ સુધી અનુલોમવિલોમનો અભ્યાસ કરી શકાય છે. આ એક સામાન્ય વિધિ છે, પણ આ પ્રાણાયામને રેચક, પુરક અને કુંભકના અભ્યાસ સાથે પણ કરી શકાય છે.

(૧) ડાબી નાસિકાથી શ્વાસ અંદર લેવો (૨) શ્વાસને અંદર રોકવો (૩) જમણી નાસિકાથી શ્વાસ બહાર કાઢવો (૪) શ્વાસને બહાર રોકવો (૫) જમણી નાસિકાથી શ્વાસને અંદર લેવો (૬) શ્વાસને અંદર રોકવો (૭) ડાબી નાસિકાથી શ્વાસને બહાર કાઢવો (૮) શ્વાસને બહાર રોકવો.

રેચક, પુરક અને કુંભક સાથે અનુલોમ-વિલોમનો અભ્યાસ ૫ થી ૧૦ મીનીટ સુધી કરી શકાય છે.

ધ્યાન રાખવા યોગ્ય બાબત : હૃદયરોગ, બ્લડ પ્રેશર, અસ્થમા અથવા અન્ય કોઈ ગંભીર બીમારી હોય તો પ્રાણાયામ કરતી વખતે શ્વાસ રોકવો હિતાવહ નથી.

સમય : અનુલોમ-વિલોમ માટે સવારે અથવા સાંજનો સમય ઉપયુકત છે.

સ્થળ : હવાની સારી અવરજવરવાળા સ્થળ પર પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ જેથી શુદ્ધ પ્રાણવાયુ મળી શકે છે.

લાભ : અનુલોમ-વિલોમ પ્રાણાયામથી સ્ફુર્તિ વધે છે. થાક ઓછો થાય છે. શરીરમાં પ્રાણઊર્જાનો સંચાર થાય છે. ફેફસાને ફાયદો થાય છે. અનુલોમ-વિલોમ અભ્યાસથી ફેફસા મજબુત બને છે. શ્વાસની તકલીફમાં રાહત આપે છે. શરીરમાં ઓકિસજનનું સ્તર વધારે છે.

સ્વસ્થ રહો, પ્રસન્ન રહો અને પ્રાણાયામ કરતા રહો. ભયમુકત બની સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક રહીને કોરોના જેવી મહામારીથી બચી શકાય છે. (પ્રાણાયામ વિશે માર્ગદર્શન માટે લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ 'લાઈફ', રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટનો સંપર્ક કરવા અનુરોધ છે. સંપર્ક ફોન ૦૨૮૧-૨૪૭૯૧૩૩, મો. ૮૫૧૧૩૩૧૧૩૩ ઉપર કરવો.

સંકલન : રાજીવ કુમાર મિશ્રા

યોગ પ્રોફેશનલ, લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ 'લાઈફ', રેસકોર્ષ રીંગ રોડ રાજકોટ

(3:14 pm IST)