Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

હરીઓમ પાર્કમાં એકલવાયુ જીવન અને બીમારીથી કંટાળી વૃધ્ધા સરસ્વતીબેનનો સળગી આપઘાત

ખારચીયા પાસે વાડીમાં ઝેરી દવા પી અનીતાબેન નીવાળની આત્મહત્યાઃ કારણ જાણવા તપાસ

રાજકોટ, તા., ૨૯: કોઠારીયા રીંગ રોડ પર ખોખડદળ નદીના પુલ પાસે હરીઓમ પાર્કમાં રહેતા વૃધ્ધાએ એકલવાયુ જીવન અને માનસીક બીમારી તથા વાઇની બીમારીથી કંટાળી સળગી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ હરીઓમ પાર્ક શેરીનં. ૧માં રહેતા સરસ્વતીબેન સુખદેવભાઇ જોશી (ઉ.વ.૬ર) નામના વૃધ્ધા તેમના બનેવીના મકાનમાં રહેતા હોઇ, બનેવી ભુપેન્દ્રભાઇને આ મકાન ભાડે આપવાનું હોવાથી તેણે સરસ્વતીબેનને ફોન કર્યો હતો. પરંતુ ફોન ન ઉઠાવતા રૂબરૂ જઇ તપાસ કરતા વૃધ્ધા મકાનમાં સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. બાદ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમેે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્ધાનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજી ડેમ પોલીસ મથકના એએસઆઇ કે.વી.ગામેતીએ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક વૃધ્ધા સરસ્વતીબેન એકલવાયુ જીવન જીવતા હતા તેને માનસીક બિમારી તથા વાઇની તકલીફ હતી તેની દવા પણ ચાલતી હતી. તેથી કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું હતું.

જયારે બીજા બનાવમાં ખારચીયા ગામમાં રહેતા વેલાભાઇ મંગાભાઇ મુંધવાની વાડીમાં મજુરીકામ કરતી આદીવાસી મહિલા અનિતાબેન સુનીલભાઇ નિવાળ (ઉ.વ.૩૦)એ ગઇકાલે વાડીએ હતી ત્યારે તેણે ઝેરી દવા પી લેતા તેને પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક અનિતાબેનના છ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મુળ એમપીની મહિલા પતિ સાથે પખવાડીયા પહેલા ખારચીયા ગામે વાડીમાં મજુરીકામ માટે આવી હતી તેણે કયા કારણોસર  આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર.વી.કડછાએ તપાસ હાથ ધરી છે. 

(2:52 pm IST)