Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સોમવારે કોમર્શિયલ મિલ્કત વેરા વળતર યોજનાનો છેલ્લો દિ' : ૧૨૧ કરોડની આવક

ગત વર્ષ કરતા વેરાની આવક વધી : આવતીકાલે રવિવારે ત્રણેય ઝોન કચેરી, સિવિક સેન્ટર ખાતે વેરો સ્વિકારાશે : ડિસ્કાઉન્ટનો લાભ લેવા મેયર બિનાબેન આચાર્યનો અનુરોધ

રાજકોટ તા. ૨૯ : મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે મિલકતધારકોને એડવાન્સ ટેકસ ચુકવવા બદલ મે-૨૦૨૦માં ૧૦% અને મહિલા મિલકતધારકોને વધારાના ૫% તેમજ ઓનલાઈન ભરનારને ૧% વધારાનું વળતર અને જુન-૨૦૨૦માં ૫% અને મહિલા મિલકત ધારકને ૫% આપવાનું મંજુર કરાયેલ. કોરોના મહામારીના કારણે રાજય સરકાર દ્વારા ૩૧ ઓગષ્ટ માં મિલકત વેરો ભરનારને રહેણાંક પર ૧૦% અને કોમર્શીયલ પર ૨૦% વળતર આપવાનો નિર્ણય કરવામાં આવેલ જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોમર્શીયલ મિલકતધારકોને ૩૧ ઓગષ્ટ સુધી વેરો ભરનારને ૨૦% અને ૧% ઓનલાઈન વળતર આપવાનું મંજુર કરવામાં આવેલ. આજ દિન સુધીમાં રૂ. ૧૨૧ કરોડની વધુની આવક થવા પામી છે. જેમાં ગત વર્ષ કરતા વધારો થયો છે.

આ વળતર યોજનાના અંતર્ગત આજ દિવસ સુધી ૧.૫૫.૪૬૫ રહેણાંક મિલકતધારકોએ રૂ.૫૧.૨૭ કરોડ એડવાન્સ વેરો ભરેલ છે અને ૫.૫૪ કરોડનું વળતર આપવામાં આવેલ. જયારે ૬૫,૩૩૦ કોમર્શીયલ મિલકતધારકોએ રૂ.૬૮.૯૩ કરોડનો વેરો ભરપાઈ કરેલ છે. જેમાં ૮.૩૦ કરોડનું વળતર ચુકવવામાં આવેલ છે. આમ કુલ ૧૨૧ કરોડ મિલકત વેરો કોર્પોરેશનને મળેલ છે અને ૧૩.૮૫ કરોડનું રાજકોટ મહાનગરપાલિકાએ વળતર આપેલ છે.

કોમર્શીયલ મિલકત ધારકો વળતરનો લાભ લઇ શકે તે માટે આવતીકાલ તા. ૩૦ને રવિવારના રોજ પણ મિલકત વેરાની રકમ લેવામાં આવશે.

કોમર્શીયલ મિલકત ધારકોને ૩૧ ઓગષ્ટ સુધી વળતર યોજનાનો લાભ લેવા મેયર બિનાબેન આચાર્યએ અપીલ કરેલ છે.

(3:33 pm IST)