Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રામેશ્વરમમાં સૌરાષ્ટ્ર હેરીટેજ રીસોર્ટ આકાર લેશે

તામિલનાડુના વતની મુળ સૌરાષ્ટ્રીયન સમુદાયનું રાજકોટમાં ગરીમાપૂર્ણ નાગરિક સન્માન

રાજકોટ તા. ૨૯ : તામીલનાડુમાં ૧૦૦૦ વર્ષથી સ્થાયી થયેલ મૂળ સૌરાષ્ટ્રવાસી સમુદાયનાં અગ્રણીઓનું બનેલું એક પ્રતિનિધિમંડળ સૌરાષ્ટ્ર વિસ્તારની મુલાકાતે આવેલ છે તે નિમિતે જૂનાગઢ, પ્રભાસ પાટણ, દ્વારકા સહિતનાં સ્થાનોએ ભાવપૂર્ણ સ્વાગત બાદ પાંચ દિવસનાં પ્રવાસની ફલશ્રુતિ સ્વરૂપ રાજકોટ ખાતે વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ, સંસ્થા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ નાગરીક સત્કાર સમારોહ આયોજીત કરાયો હતો.

એન.એમ.એમ.એલ.નાં સભ્ય પ્રો. ડો. કમલેશ જોશીપુરાનાં માર્ગદર્શન હેઠળ આયોજીત આ સમારોહમાં કુલપતિ ડો. નીતીન પેથાણી, ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ વી. પી. વૈષ્નવ, પીજીવીસીએલનાં એમ.ડી. ધીમંતભાઈ વ્યાસ, ભાજપ અગ્રણી નેહલ શુકલ, પૂર્વ પ્રધાન ઉમેશ રાજયગુરૂ, શિક્ષણ સમિતિ અઘ્યક્ષ અતુલ પંડિત, સહકારી અગ્રણી મુરલીધર દવે, ડો. ડી. કે. શાહ, પૂર્વ ડીકયુપી ગીરીશચંદ્રભાઈ ભટ્ટ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલ. વિવિધ ક્ષેત્રોનાં ૬૦ જેટલા અગ્રણીઓએ હાજરી આપી સન્માન કરેલ.

આ સમારોહમાં કરાયેલી મહત્વપૂર્ણ જાહેરાત અંતર્ગત સુપ્રસિઘ્ધ યાત્રાધામ રામેશ્વરમ ખાતે ૬ એકરમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે સૌરાષ્ટ્ર હેરીટેજ રીસોર્ટ આકાર લેશે. ભગવાન સોમનાથજી સમક્ષ જમીનનાં પેપર્સને સોમનાથજીનાં ચરણોમાં અર્પણ કરી અને આ ભગીરથ કાર્ય માટે આર્શીવાદ પ્રાપ્ત કરેલ.

સ્વ.અભય ભારદ્વાજ કે જેઓનો આ સમુદાય સાથે નાતો હતો તેમને સૌરાષ્ટ્રવાસી અગ્રણીઓએ ખાસ યાદ કરી અને ઉપસ્થિત અંશ ભારદ્વાજને સન્માન આપેલ.

પ્રતિનિધિમંડળમાં ભારત સરકારનાં માન્યતા પ્રાપ્ત ઈન્સોલ્વન્સી પ્રોફેશનલ સુવિખ્યાત ધારાશાસ્ત્રી રામશેખર, થાંજાવુરનાં રાજકીય– સામાજીક આગેવાન શ્રી સુરેન્દ્રબાબુ, તામીલનાડુનાં વરિષ્ઠ શિક્ષણવિદ અને ધનલક્ષ્મી ગ્રુપ ઓફ કોલેજીસનાં સ્થાપક શ્રી વી. પી. રામમૂર્તિ, સાડી ઉદ્યોગનાં માંધાતા શ્રી વેંકટરામન્ના, વરિષ્ઠ ઉદ્યોગપતિ શ્રી નાગરાજ તથા શ્રી રમેશ વગેરેનો સમાવેશ થાય છે.

ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં તત્કાલીન કુલપતિ શ્રી કમલેશ જોશીપુરા અને ઉપકુલપતિ શ્રી કલ્પક ત્રિવેદી એ ર૦૦૬માં સંપર્ક પ્રસ્થાપિત કર્યા બાદ ખૂબ જ અસરકારક આદાન–પ્રદાન ઉપક્રમો ચાલી રહેલ છે. શ્રી કમલેશ જોશીપુરા ર૦૦૬થી સમગ્ર સંકલન સંભાળી રહેલ છે.

નાગરિક સન્માનનો પ્રત્યુતર મઘ્યસભા અઘ્યક્ષશ્રી રામશંકરે આપી સૌરાષ્ટ્રવાસીઓનાં સુવિખ્યાત રાસ–ગરબા, કચ્છી ભરતકામ અને લોકકલાઓ ક્ષેત્રે આદાન–પ્રદાન વધારવા આહવાન કરેલ. તેઓએ રામેશ્વરમ ખાતે આકાર લેનાર રીસોર્ટ અંગે વિગતો આપેલ.

     અખિલ હિંદ મહિલા પરિષદનાં રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ ડો. ભાવનાબેન જોશીપુરા ેદ્વારા ખાસ નિમંત્રિત કરાયેલ આ સમુદાયમાં ઉદ્યોગશીલ મહિલાઓ પણ પ્રતિનિધિમંડળમાં સામેલ છે તેઓનું સ્વાગત ડો.જયોતિ રાજગુરૂ, શ્રીમતી પ્રવિણા પ્રશાંતકુમારજી, ઈતિહાસવિદ ડો.પ્રફુલ્લા રાવલ તેમજ પ૧ જેટલા મહિલા સંગઠનો વતી, બ્હેનો દ્વારા ખાસ તૈયાર કરેલ કાઠીયાવાડી તોરણ અર્પણ કરાયેલ.

     રાજકોટ–સૌરાષ્ટ્ર વ્યાપાર–ઉદ્યોગવતી રાજકોટ ચેમ્બરનાં પ્રમુખ શ્રી વી. પી. વૈષ્નવે સમગ્ર પ્રતિનિધિમંડળનું સ્વાગત કરેલ. સહકારી ક્ષેત્ર વતીશ્રી મુરલીભાલ દવે એ, તબીબો વતી ડો. ડી. કે. શાહે, વકીલો વતી ગીરીશચંદ્ર ભટ્ટ તેમજ પ્રશાંતકુમારે તેમજ પ્રિન્સીપાલો વતી  સહદેવસીંહ ઝાલા અને ચાઈલ્ડ વેલ્ફેર કમીટીનાં ડો. રશ્મીકાંત જોશીપુરા, પ્રિ. યોગેશ ચુડાસમાએ, રોટરી કલબ વતી શ્રીમતી બાનુબેન ધકાણ, રેલ્વે યુનિયન વતી રાજેશ મહેતા, રાજયનાં સેલ્સમેન એસોસીએશન વતી દિપક મદલાણીએ તથા સાંસ્કૃતિક વર્તુળ વતી ઓજસકુમાર માંકડે સ્વાગત કરેલ.

     રાજકોટ મહાનગર પ્રા. શિ. સમિતિ વતી અઘ્યક્ષ અતુલ પંડિતે તથા માર્કેટીંગ યાર્ડ વતી નરેન્દ્ર પોપટે સ્વાગત કરેલ. ડો. ગૌરવ શાહ અને તબીબોએ ઉપસ્થિત રહી સ્વાગત કરેલ. આ પ્રસંગે ભવન અઘ્યક્ષશ્રીઓ આનંદ ચૌહાણ તેમજ રાજેન્દ્ર દવે પણ ઉપસ્થિત રહેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેરીટેજચેર કન્વીનર રવીસીંહ ઝાલાએ કરેલ. 

(3:12 pm IST)