Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

રણછોડનગરમાં પુત્રના ભણતર બાબતે કારખાનેદાર પતિ સાથે કલેશ થતાં સેજલબેન લુણાગરીયાનો આપઘાત

રાજકોટ તા. ૨૯: સામા કાંઠે રણછોડનગર સોસાયટીમાં કોમ્‍યુનિટી હોલ પાસે રહેતાં સેજલબેન નિકુલભાઇ લુણાગરીયા (પટેલ) (ઉ.વ.૩૨) નામના મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પુત્રના ભણતર બાબતે પતિ સાથે કલેશ થતાંઆ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું છે.

રણછોડનગરમાં રહેતાં સેજલબેન લુણાગરીયા સવારે ઘરે એકલા હતાં. એ પછી દિયર નિલેષભાઇ ઘરે આવ્‍યા ત્‍યારે દરવાજો બંધ હોઇ તેણે મોટા ભાઇ નિકુલભાઇને ફોન કરી ભાભી સેજલબેન ક્‍યાં ગયા છે? એ વિશે પુછતાં તેણે ઘરમાં જ હશે તેમ જણાવ્‍યું હતું. ત્‍યારબાદ નિકુલભાઇ પણ ઘરે પહોંચ્‍યા હતાં અને દરવાજો તોડીને જોતાં અંદર સેજલબેન પંખામાં બાંધેલી ચુંદડીમાં લટકતાં જોવા મળતાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી મારફત થતાં બી-ડિવીઝનના પીએસઆઇ પી. એ. ગોહિલ અને સ્‍ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર સેજલબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિ નિકુલભાઇને સિંદરી બનાવવાનું કારખાનુ છે. પુત્ર ધોરણ-૮માં ભણે છે. તેને પરિક્ષામાં ઓછા ટકા આવ્‍યા હોઇ તે બાબતે સેજલબેનને પતિ સાથે કલેશ થતાં માઠુ લાગવાથી આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(4:39 pm IST)