Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

શું જમવાનું બનાવું? એવું પતિને ફોન કરીને પુછ્‍યા બાદ રસિલાબેને ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું

રેલનગર મહર્ષિ દયાનંદ સરસ્‍વતિ ટાઉનશીપમાં બનાવઃ આપઘાત કરનારે દસ મહિના પહેલા જ નરેશ સાથે બીજા લગ્ન કર્યા'તાઃ નરેશ કેડીયાના પ્રથમ પત્‍નિનું કોરોનામાં મૃત્‍યુ થયુ હતું

રાજકોટ તા. ૨૯: રેલનગરમાં કોળી પરિણીતાએ પતિને સાંજે ફોન કરી જમવાનું શું બનાવું? એવી વાત કર્યા બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. દસ મહિના પહેલા જ તેણીએ બીજા લગ્ન કર્યા હતાં.

બનાવની પ્રાપ્‍ત માહિતી મુજબ રેલનગર મહર્ષિ દયાનંદ સરસ્‍વતિ ટાઉનશીપમાં રહેતી રસિલાબેન નરેશભાઇ કેડીયા (કોળી) (ઉ.વ.૩૨)એ સાંજે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં પ્ર.નગરના પીએઅસાઇ કે. એસ. ભગોરા અને તોરલબેને જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર રસિલાબેનના પ્રથમ પતિથી છૂટાછેડા થઇ ગયા હતાં. તેણીને સંતાનમાં એક આઠ વર્ષની દિકરી છે. માવતર દૂધની ડેરી પાસે રહે છે. દસ મહિના પહેલા જ તેણીના નરેશભાઇ કેડીયા સાથે બીજા લગ્ન થયા હતાં. નરેશભાઇના પ્રથમ પત્‍નિ શીતલબેનનું કોરોનામાં અવસાન થયું હતું. તેને આગલા ઘરના દિકરો-દિકરી છે. નરેશભાઇ જ્‍વેલર્સની દૂકાનમાં કામ કરે છે. તેણે જણાવ્‍યું હતું કે ગઇકાલે જ અમે પત્‍નિના માવતરને ત્‍યાં આટો મારવા ગયા હતાં અને ધાબળા સહિતની ચીજવસ્‍તુ પત્‍નિએ ત્‍યાંથી લીધી હતી.

સાંજે તેણીએ મને ફોન કરીને ‘જમવાનું શું બનાવું?' તેમ પુછતાં મેં તેને છોકરાઓને જે ભાવે તેમ બનાવો તેમ કહેતાં તેણીએ ફોન કટ કરી નાંખ્‍યો હતો. એ પછી મેં ફરી ફોન જોડતાં રિસીવ થયો નહોતો. ત્‍યાં દિકરી શાળાએથી આવી ત્‍યારે દરવાજાનું ઇન્‍ટર લોક બંધ હોઇ મને જાણ થતાં મેં ઘરે પહોંચી બીજી ચાવીથી તાળુ ખોલીને જોતાં હોલમાં જ પત્‍નિ લટકતી મળતાં તુરત નીચે ઉતારી હોસ્‍પિટલે ખસેડી હતી. પરંતુ જીવ બચ્‍યો નહોતો. તેણીેએ આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પતિ પણ અજાણ હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:04 am IST)