Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કાલથી ૧૭ ઓગષ્ટ સુધીના જાહેરનામામાં કર્ફ્યુનો સમય ઘટાડાયોઃ વેપાર-ધંધા રાતે ૯ કલાકે બંધ કરવા પડશે

રેસ્ટોરન્ટમાં રાત્રીના ૧૦ સુધી બેસીને જમવાની છૂટઃ જાહેર કાર્યક્રમોમાં ૪૦૦ લોકો ભેગા થઇ શકશેઃ પોલીસ કમિશનર

સ્પા હજુય બંધ રાખવાના : છૂટછાટમાં જાહેરનામાનો કડક અમલ કરવા અને માસ્ક-સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાળવા અનુરોધ : ૨ાત્રે ૧૧ સુધી બહાર રહી શકશે રાજકોટવાસીઓ લગ્ન પ્રસંગમાં ૧૫૦ને મંજુરી ગણેશ ઉત્સવમાં ૪ ફુટ ઉંચાઇ સુધીની જ મુર્તિની સ્થાપના કરવાની છુટ

રાજકોટ તા. ૩૦: રાજ્ય સરકારે કોરોના સંદર્ભે જાહેર કરેલી  માર્ગદર્શિકા મુજબ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અગાઉ  સુધારા સાથેનું જાહેરનામુ આપ્યું હતું. સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી કર્ફયુના સમયમાં ઘટાડો કરતાં રાજકોટવાસીઓએ રાહત અનુભવી છે. પોલીસ કમિશનશ્રી મનોજ અગ્રવાલે જાહેરનામામાં સુધારો કરતાં હવે મોડી રાત સુધી હરવા ફરવાના શોખીન રાજકોટવાસીઓ રાતના ૧૧ વાગ્યા સુધી બહાર રહી શકશે. રેસ્ટોરન્ટમાં રાતના ૧૦ સુધી બેસીની જમી શકાશે. આ ઉપરાંત રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા જાહેર સમારંભોમાં અગાઉ ૨૦૦ લોકોને છૂટ હતી તે વધારીને ૪૦૦ની કરવામાં આવી છે.

૩૧/૭ થી ૧૭ ઓગષ્ટ સુધીનું નવું જાહેરનામુ અપાયું છે. જેમાંં દૂકાનદારો  રાત્રીના ૯ સુધી દૂકાનો ખુલી રાખી શકશે એ નિયમ યથાવત રહ્યો છે. જ્યારે કર્ફયુ સમય રાતના ૧૧ થી સવારના ૬ સુધી કરાયો છે. અગાઉના જાહેરનામા મુજબ સિનેમા થિએટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળોને ૬૦ ટકા કેપેસિટી સાથે ખુલ્લા રાખવાની છુટ અપાઇ છે. જો કે આ બધા સાથે સંકળાયેલા લોકોએ ૩૧/૭ સુધીમાં વેકસીન લઇ લેવી ફરજીયાત છે. શૈક્ષણિક સંસ્થાઓ (ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટરપાર્ક અને સ્વિમીંગ પુલ હવે ખોલવાની છુટ અપાઇ ગઇ છે. સ્પા હજૂ પણ બંધ જ રાખવાના રહેશે. રેસ્ટોરન્ટ પણ અગાઉની છુટછાટ મુજબ ૬૦ ટકાની કેપેસીટી સાથે અગાઉ રાતના ૯ સુધી ખુલ્લા રાખી શકાતા હતાં, તેમાં સમય વધારી રાતના ૧૦ સુધી ખુલ્લા રાખવાની છુટ અપાઇ છે.  રેસ્ટોરેન્ટ્સમાં રાત્રીના ૧૨:૦૦ સુધી હોમ ડિલીવરી (Home Delivery)ની સુવિધા ચાલુ રાખી શકાશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે રાજકોટ શહેર કમિશનરેટ વિસ્તારમાં રાત્રીના ૧૧:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યાનો કર્ફયુ યથાવત રખાયો હોવાથી આ સમય દરમિયાન લોકોએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી તેમજ કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઊભા રહેવું નહીં, રખડવું નહીં અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહી.

 તમામ દુકાન, વાણિજયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટિંગ યાર્ડ, આઠવાડીક ગુજરીબજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ  રાત્રીના ૯:૦૦ સુધી ખુલ્લા રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓએ તા.૩૧/૦૭ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજયીક એકમોચાલુ રાખી શકાશે નહી.)

 જીમ ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતોને આધીન ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રીના ૯:૦૦ સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે. અંતિમ ક્રીયા/દફન વિધીમાં ૪૦ (ચાલીસ) વ્યકિતઓ સામેલ થઇ શકશે.  લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ ૧૫૦ (એકસો પચાસ) લોકોની મંજુરી યથાવત રહી છે. લગ્ન માટે ઓનલાઇન પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.

તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધીન, ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ પરંતું બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૪૦૦ વ્યકિતઓની મર્યાદામાં) લોકો એકત્રિત થઈ શકશે.

આ ઉપરાંત ધોરણ ૯થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો-ટ્યુશન કલાસીસ અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરિક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો તેની ક્ષમતાના ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચ વાઇઝ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાની શરતો સાથે ચાલુ રાખી શકાશે. સંચાલકો-માલિકો, શિક્ષકો, કર્મચારીઓએ

શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓ મુજબ ચાલુ રાખી શકાશે. તેમજ શાળા-કોલેજ-અન્ય સંસ્થાઓની પ્રવેશ પરિક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરિક્ષાઓ પણ ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી. સાથે યોજી શકાશે.

વાંચનાલયો ૬૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતે  ચાલુ રાખી શકાશે. પબ્લીક બસ તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટમાં નોન એ.સી. સેવાઓ ૧૦૦  ટકા પેસેન્જર સાથે ચાલુ રાખી શકાશે. એ.સી. બસોને ૭૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. બસ ટ્રાન્સપોર્ટને કર્ફ્યુમાંથી મુકિત આપવામાં આવે છે.

પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો,મહત્તમ ૬૦ ટકા કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક, સ્વીમિંગ પૂલ મહત્તમ ૬૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.  સ્પા સેન્ટરો હજુ પણ બંધ જ રાખવાના રહેશે. 

શહેરમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફૂટની ઉંચાઇ ધરાવતી મુર્તિની સ્થાપના કરવાની મંજુરી આપવામાં આવી છે. અન્ય જોગવાઇ જે તે સમયની કોરોનાની પરિસ્થિતિ મુજબની હશે અને સરકાર દ્વારા લેવાનાર નિયમો લાગુ પડશે.

જેને ફરજીયાત વેકસીન લેવાની છે તે પૈકીના કોઇપણ વ્યકિતઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોઇ તેવા કિસ્સાઓમાં ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/હોસ્પીટલમાંથી  રજા આપ્યાની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામ લોકોએ ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામ લોકોએ ફેસ કવર, માસ્ક અને શોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અમલવારી સમય

આ જાહેરનામા હુકમનો અમલ તા. ૩૧/૦૭/૨૦૨૧ના કલાક ૦૬:૦૦ થી તા. ૧૭/૦૮/૨૦૨૧ના કલાક ૦૬:૦૦ સુધી કરવાનો રહેશે. તેમ વધુમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

(3:07 pm IST)