Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

લગ્નમાંથી આવતી વેળાએ નીકાવા પાસે કાર પલ્ટી ગઇઃ છોટુનગરના રીટાબેન પંડ્યાનું મોત

પતિ પુરવઠા નિગમના નિવૃત અધિકારી નયનભાઇ પંડ્યાનો બચાવઃ જામકંડોરણાથી પરત આવતા હતાં

રાજકોટ તા. ૨૯: કાલાવડના નિકાવા અને વડાળા વચ્ચે સિંગલ પટ્ટી રોડ પર કાર પલ્ટી મારી જતાં રૈયા રોડ હનુમાન મઢી પાસે છોટુનગરમાં રહેતાં રીટાબેન નયનભાઇ પંડ્યા (ઉ.વ.૫૮)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પતિ પુરવઠા નિગમના નિવૃત અધિકારીનો બચાવ થયો હતો. જાણવા મળ્યા મુજબ છોટુનગર-૩માં રહેતાં નયનભાઇ પંડ્યા (ઉ.૬૦) અને તેમના પત્નિ રીટાબેન પંડ્યા (ઉ.૫૮) ગઇકાલે રવિવારે સગાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે કાર લઇને જામકંડોરણા ગયા હતાં. ત્યાંથી બપોર બાદ પરત રાજકોટ આવતી વખતે નીકાવા-વડાળા વચ્ચે સીંગલ પટ્ટી રોડ પર કાર પલ્ટી ખાઇ  જતાં રીટાબેનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. નયનભાઇનો બચાવ થયો હતો. સારવાર દરમિયાન રીટાબેને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ કાલાવડ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રીટાબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. કાલાવડ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

(11:26 am IST)