Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

રાજકોટ જીલ્લાની ૮ બેઠકો માટે નાની - મોટી ૪૧૫ સભા-સરઘસ યોજાયા પણ મતદારોનું મૌન

રાજકીય પક્ષોની અગ્નિ પરીક્ષા : દિગ્‍ગજ નેતાઓ પ્રચારમાં જોડાયા છતા વાતાવરણ જામ્‍યુ નથી

નવી દિલ્‍હી, તા.૨૯ : વિધાનસભા ચૂંટણી માટેના ઘનિષ્ઠ પ્રચારની અવધિ પૂરી થવા પર છે. છેલ્લાં પંદરે'ક દિવસ દરમિયાન રાજકોટ જિલ્લાના આઠ મત વિસ્‍તારોમાં નાની- મોટી કુલ ૪૧૫ જાહેર સભા- સરઘસ- રેલીઓ માટે ઉમેદવારોએ ચૂંટણી તંત્રની મંજૂરી મેળવી હતી, જે પૈકીના મહત્તમ પ્રચાર ત્રાગડાં પૂર્ણ થઈ પણ ચૂકયા છે પરંતુ મતદારો તરફથી જે નબળો પ્રતિસાદ મળી રહ્યો છે તે જોતાં મુખ્‍ય પક્ષો પણ હજુ કળી નથી શકતાં કે કયાં શું અંજામ આવશે.

રાજકોટ રૂરલમાં આપમાંથી કેજરીવાલ તથા ભગવંત માન ધોરાજી અને જેતપુરમાં તેમજ પંજાબના શિક્ષણ મંત્રી વિંછીયામાં આવી ચુકયા.

રાજકોટની ચાર બેઠકો માટે ઉમેદવારોનાં ફોર્મ ભરતી વખતથી અત્‍યાર સુધીમાં ભાજપ તરફથી કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રવિપ્રસાદ શંકર, પક્ષના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, માજી મંત્રી ગોરધન ઝડફિયા અને આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, આપમાંથી રાષ્‍ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માન તેમજ કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી પ્રચાર સભા કે રોડ- શો કરી ગયા છે. બીજી તરફ, રાજકોટ રૂરલમાં આપમાંથી કેજરીવાલ તથા ભગવંત માન ધોરાજી અને જેતપુરમાં તેમજ પંજાબના શિક્ષણ મંત્રી વિંછીયામાં આવી ચુકયા છે, તો ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે કેન્‍દ્રીય મંત્રી અમિત શાહ, મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલા અનુક્રમે જસદણ, વિંછીયા અને ગોંડલ આવી ચુકયા છે.

ચૂંટણી જાહેર થતાં પહેલાં જ જામકંડોરણા ખાતે વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાયો તેમાં ધોરાજી, જેતપુર, ગોંડલ, પોરબંદર અને કુતિયાણાના મતદાર સમૂહને આવરી લેવાયા હતા એવા તર્ક બાદ જેતપુરમાં ભાજપના કોઈ દિગ્‍ગજ આવ્‍યા નથી અને એમ પણ જણાવાઈ રહ્યું છે કે અહીના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા પોતે જ ભાજપના સ્‍ટાર પ્રચારકોની યાદીમાં સમાવિષ્ટ હોવાથી ટંકારા, વિસાવદર વગેરે વિસ્‍તારોમાં પ્રચાર માટે જતાં- આવતા રહે છે, તેમને હેલિકોપ્‍ટર પણ ફાળવાયું છે. જો કે, રૂરલમાં આપ અને કોંગ્રેસમાં સ્‍થિતિ કઈંક જુદી છે. ગોંડલમાં આમ આદમી પાર્ટીમાંથી  ટાઢોડું જણાઇ રહ્યુ હોય તેમ હજુ સુધી કોઈ સભા લેવાઇ નથી, જ્‍યારે જસદણના કોંગ્રેસી ઉમેદવારે કોઈ દિગ્‍ગજને નહીં નોતરીને પોતે એકલાં જ લડવા નિર્ધાર કર્યાનું અને ધોરાજીના કોંગ્રેસી ઉમેદવારે પણ પોતે જ વ્‍યક્‍તિગત રીતે મતદારોને મળતાં રહેવાનો વ્‍યૂહ અપનાવ્‍યાનું જાણવા મળે છે.

(3:46 pm IST)