Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ચેક રીર્ટનના કેસમાં આરોપી સ્વેતલબેન વ્યાસને એક વર્ષની સજા

ફરિયાદીના એડવોકેટ મલ્હાર સોનપાલની દલીલો ધ્યાને લઈ કોર્ટનો ચુકાદો

રાજકોટ,તા.૩૧: અમદાવાદની મહિલા વિરૂધ્ધ રાજકોટના રહેવાસી વાસુદેવભાઈ વસંતરાય જાનીએ રાજકોટની કોર્ટમાં નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ ફરીયાદના કેસમાં રાજકોટની કોર્ટમાં આરોપી સ્વેતલબેન મુકેશચંદ્ર વ્યાસને ૧ વર્ષની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, રાજકોટમાં સુરજ યાત્રા સંઘના માલિક વાસુદેવભાઈ વસંતરાય જાનીએ તેમના અમદાવાદ રહેતા સંબંધી સ્વેતલબેન મુકેશચંદ્ર વ્યાસને આર્થિક જરૂરીયાત ઉત્પન્ન થતા હાથ ઉછીના રૂ.૧૧,૫૦,૦૦૦/- અંકે રૂપિયા અગીયાર લાખ પચાસ હજાર પુરા આપેલા. જે રકમની આંશીક ચુકવણી પેટે આરોપી સ્વેતલબેન વ્યાસે ફરીયાદી વાસુદેવ જાનીને તા.૧૩/૧૨/૨૦૧૭ના રોજનો રૂ.૨ લાખ પુરાનો ચેક આપેલ. જે ચેક 'ફંડ ઈનસફીસીયન્ટ'ના શેરા સાથે પરત ફરતા, તેમજ ડીમાન્ડ નોટીસ પાઠવતા છતાં તે ચેક મુજબની રકમની ચુકવણી ન કરતા ફરીયાદી વાસુદેવભાઈ વસંતરાય જાનીએ સ્વેતલબેન મુકેશચંદ્ર વ્યાસ વિરૂધ્ધ રાજકોટની કોર્ટમાં નેગોશ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ.

ત્યારબાદ સદરહુ કેસમાં ફરીયાદ પક્ષે પુરાવો પુરો થયા બાદ કેસ દલીલ ઉપર આવતાં ફરીયાદીના એડવોકેટ  મલ્હાર  સોનપાલએ નામદાર સુપ્રિમ કોર્ટ તથા અલગ અલગ વડી અદાલતોના ચુકાદાઓ રજુ કરી ફરીયાદીએ પોતાનુ કાયદેસરનું લેણું સાબીત કરેલ હોય તેમજ બચાવ પક્ષે ફરીયાદીના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાનો ખંડનાત્મક પુરાવો રજુ રાખી શકેલ ન હોય તે ધ્યાને લઈ આરોપીને સજા કરવા રજુઆત કરેલ.

ત્યારબાદ ફરીયાદ પક્ષે થયેલ રજુઆત ધ્યાને લઈ રાજકોટના એડી.ચીફ. જયુ.મેજી. શ્રીએ આરોપી સ્વેતલબેન મુકેશચંદ્ર વ્યાસને  દોષીત ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ફરીયાદીને એક માસની અંદર ચકુવી આપવા હુકમ કરેલ છે  તથા જો આરોપી ફરીયાદીને એક માની અંદર રકમ ન ચુકવે તો વધુ છ (૬) માસની કેદની સજાનો હકુમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રીઓ મલ્હાર સોનપાલ તથા કોમલ કોટક રોકાયેલા.

(11:51 am IST)