Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

માધવ સહકારી મંડળીના વધુ એક બાકીદાર સભાસદને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને વળતરનો આદેશ

૩૦ લાખનું વળતર આરોપી ન ચુકવે તો વધુ છ માસની સજાનો આદેશ

રાજકોટ,તા. ૩૧: રાજકોટની જાણીતી મંડળી શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી.ના બાકીદાર અમીશ ધિરજલાલ પીઠડીયાએ લોનની બાકી રકમ ચુકવવા આપેલ ચેક વગર વસુલાતે પરત ફરતા તેમની સામે શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી.એ અત્રેની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદ નોંધાવેલ. જે કેસ ચાલી જતા અત્રેના જજશ્રી એ મંડળીના બાકીદાર એવા અમીશ ધિરજલાલ પીઠડીયાને ૧(એક) વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ૩૦,૦૦,૦૦૦ નું વળતર ફરિયાદી મંડળીને ૧(એક) માસમાં ચુકવી આપવાનો હુકમ કરેલ અને જો વળતર ના ચુકવે તો વધુ ૬ માસની સાદી કેદની હુકમ ફરમાવતા મંડળીના બાકીદારોમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કિસ્સાની ટુંકમાં વિગત એવી છે કે, અમીશ ધિરજલાલ પીઠડીયા રહે. ૮૭ નિલકમલ પાર્ક, સનસીટી ટાવર સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટવાળાએ રાજકોટની શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી.ના સભાસદ દરજ્જે લોન લીધેલ. સદરહું લોનની બાકી રકમ ચુકવવા અમીશ ધિરજલલ પીઠડીયાએ રાજકોટની શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી. ને રૂ. ૩૦,૦૦,૦૦૦નો ચેક આપેલ. જે ચેક વગર વસુલાતે પરત ફરતા મંડળીએ તેમના એડવોકેટ મારફતે અમીશ ધિરજલાલ પીઠડીયા વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ મુજબ ધોરણસરની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ. ત્યારબાદ સદરહું કેસ રાજકોટના ચીફ જ્યુ. મેજી. શ્રી એમ.આર.લાલવાણીની કોર્ટમાં ચાલતા આ કામના ફરિયાદી મંડળી વતી રાજકોટના જાણીતા એડવોકેટ કિશન એમ. પટેલ એ ધારદાર દલીલ કરેલ. તેમજ દલીલના સમર્થના નામદાર સુપ્રીમ કોર્ટ -હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ પર આધાર રાખેલ તથા આરોપીએ ફરીયાદી મંડળીમાંથી લોન લીધેલ હોવાની હકીકત તથા કાયદેસરના લેણાની જવાબદારી પેટે આરોપીએ ચેક આપેલ હોવાની હકિકત સાબીત થતી હોય આરોપીને સજા તથા ફરીયાદી મંડળીને વળતર ચુકવવાની રજુઆત કરેલ હતી.

ઉપરોકત દલીલો તથા સુપ્રીમ કોર્ટ -હાઇકોર્ટના અલગ અલગ ચુકાદાઓ તેમજ કેસની હકિકતો ધ્યાને લઇ અત્રેના ચીફ જ્યુ.મેજી.શ્રી એમ.આર.લાલવાણી સાહેબે ચુકાદો આપી આરોપી અમીશ ધિરજલાલ પીઠડીયાને દોષીત ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૩૦,૦૦,૦૦૦ નું વળતર ફરીયાદી મંડળીને ૧ માસમાં ચુકવી આપવાનો હુકમ અને જો વળતર ના ચુકવે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી મંડળી શ્રી માધવ શરાફી સહકારી મંડળી લી. વતી કિશન એમ.પટેલ જયદીપસિંહ બી. રાઠોડ, શકિતસિંહ એન. ગોહિલ, ભુપેન્દ્ર ટી.ગોહેલ, આદમશા જી. શાહમદાર એડવોકેટ તરીકે રોકાયેલા હતા. 

(3:25 pm IST)