પુસ્તક અવલોકન : ધન્વી માહી
અનાથ બાળકની લાગણીઓને વાચા આપતી દીર્ઘ બાળકથા : 'ગોલુ અને બોલતુ ઝાડ'
શિર્ષક : 'ગોલુ અને બોલતું ઝાડ' . લેખક : જિગર જોષી . કિંમત : રૂ.૧૪૦ ( પૃષ્ઠ ૬૨) . પ્રાપ્તિ સ્થાન : જીવનકલા ફાઉન્ડેશન, ૫૯/ગંગોત્રી પાર્ક, સવાણી કિડની હોસ્પિટલ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ મો.૯૯૨૫૧ ૫૭૪૭૫
શબ્દ અને સાહિત્યનો વારસો સવાયો કરતા જિગર જોષીએ 'ગોલુ અને બોલતુ ઝાડ' પુસ્તકમાં નવી ભાત પાડતી દીર્ઘ બાલકથાને સરસ રીતે આલેખી છે. બાળ સહજ કલ્પના વૈભવ, ભાળ ભોગ્ય ભાષા સમૃધ્ધિ અને બાળ હ્ય્દયની સંવેદનાઓની છાંટ જોવા મળે છે. અનાથ આશ્રમમાં રહેતા ગોલુને મમ્મી-પપ્પા કોને કહેવા તે પુછાયેલા સવાલો અને પછી સર્જાતા હુંફ અને વહાલના વમળો હ્ય્દયસ્પર્શી જાય તેવા છે. અનાથપણાની લાગણીની આ એક જવાબ યાત્રા છે એવુ કહેવામાં અતિશયોકિત નહીં રહે. વેકેશનમાં અન્ય બાળકોને તાલાવેલી અને અનાથ બાળકની મનોદશાનો ચિતાર આપવા સરસ પ્રયાસ થયો છે. તેમા વળી લેખકે મૌલિક બાળગીતો અને જોડકણા- ઉખાણાં મુકીને આનંદની લાગણીમાં વધારો કર્યો છે. કવિત્વ શકિતનો પણ અહીં પરિચય થાય છે. એક સફળ શિક્ષિકાના પ્રેમ-ચાતુર્યભર્યા વર્તનનું પરિણામ શું હોય? તે વાત પણ ખૂબ સરસ રીતે આલેખવામાં આવી છે.