રાજકોટમાં ડો.જયંતિ રવિના મુકામથી મ્યુ.કોર્પોરેશનની ટીમો ઉંધા માથે
મ્યુ.કમિશ્નર,ડે.કમિશ્નર સહિતનાં અધિકારીઓ સવારથી વિસ્તારમાં : કામગીરીનું નિરક્ષણ કરતાં આરોગ્ય અગ્ર સચિવ
રાજકોટ,તા.૧: શહેરમાં કોરોના કહેર વધ્યો છે. રોજબરોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આરોગ્ય સચિવ ડો.જયંતી રવિ ગઇકાલથી પાંચ દિવસ રાજકોટની મુલકાતે આવ્યા છે. આ વખતે એક અઠવાડીયા સુધી રોકાણ કરી તબક્કા વાઇઝ અલગ અલગ તંત્રવાહકો સાથે કોરોના સંદર્ભે બેઠકો યોજી વિવિધ મુદ્દે ચર્ચા કરશે અને અત્યાર સુધી કેવી અને કેટલી કામગીરી થઇ તેની સમિક્ષા કરશે. આજે સવારથી મ્યુ.કમિશ્નર, ડે.કમિશ્નર સહિતનાં અધિકારીઓ, આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો હતો.આ કામગીરીનું આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતીરવિએ નિરક્ષિણ કરી જરૂરી સુચના આપી હતી.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ રાજયનાં આરોગ્ય સચીવ ગઇકાલથી પાંચ રાજકોટની મૂલાકાતે આવ્યા છે. અગાઉ બે વખત રાજકોટ આવી ગયા છે. પહેલી વખત ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી ગયા હતા અને બીજી વખત કોરોના સંક્રમણની સમીક્ષા કરી હતી.
રાજકોટમાં છેલ્લા એક મહિનામાં ૭૦ થી ૯૦ ની સરેરાશથી કેસ આવ્યા છે. આવતીકાલથી અનલોક-૪ પણ શરૂ થઇ રહ્યુ છે ત્યારે આ બાબતે ધ્યાને રાખી ડો.જયંતી રવિ કલેકટર, મ્યુ.કમિશ્નર તથા સિવિલનાં સતાધીશો, જીલ્લા આરોગ્ય તંત્ર સાથે તબક્કા વાઇઝ કોરોનાના વધતા કેસ, ખાનગી કોવીડ હોસ્પિટલો, ધનવંતરી રથ, દવાઓ સહિતની બાબતો અંગે સમીક્ષા કરશે. આરોગ્ય સચીવ ડો.જયંતી રવિ એક સપ્તાહમાં રાજકોટ સહિત જામનગર, સુરેન્દ્રનગર સહિતનાં શહેરોની મુલકાત લઇ પરિસ્થિતી અંગે નવી રણનીતી બનાવાની શકયતાઓ દર્શાય રહી છે.