રાજકોટ
News of Tuesday, 1st September 2020

પોપટપરાના ૧૯ વર્ષના રવિરાજસિંહ ચાવડાનું બેભાન હાલતમાં મોત

તાવ આવતો હતોઃ દવા બાદ સારું થયું પછી અચાનક તબિયત બગડીઃ માતા-પિતાનો એકનો એક પુત્ર હતોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧: પોપટપરા-૧૫માં રહેતો રવિરાજસિંહ જયેન્દ્રસિંહ ચાવડા (ઉ.વ.૧૯) નામનો યુવાન ઘરે બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં એએસઆઇ કનુભાઇ માલવીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પિતાને કરિયાણાની દૂકાન છે. રવિરાજસિંહને બે દિવસ પહેલા તાવ આવતાં વિસ્તારના ડોકટરની દવા લીધી હતી અને સારુ થઇ ગયું હતું. ગઇકાલે અચાનક બેભાન થઇ ગયો હતો અને મોત થયું હતું. તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. યુવાન દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(1:09 pm IST)