રાજકોટ
News of Tuesday, 1st September 2020

પરશુરામ મંદિર પાસે સ્માર્ટ સીટીની સાઇટ પર ક્રેઇનના સેફટી બેલ્ટમાં ફસાતાં પ્રોૈઢનું મોત

વડોદરાના કોઠારાના નાનજીભાઇ માછીના મોતથી સાથી મજૂરોમાં શોક

રાજકોટ તા. ૧: રૈયા ગામથી આગળ નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર પરશુરામ મંદિર નજીક સ્માર્ટ સીટીની સાઇટ પર રહી મજૂરી કરતાં મુળ વડોદરાના કોઠારાના નાનજીભાઇ સોકરભાઇ માછી (ઉ.વ.૪૯)નું  ક્રેઇનની સેફટી બેલ્ટમાં ફસાઇ જવાથી મોત થયું છે.

નાનજીભાઇ હાલમાં સ્માર્ટ સીટી એલએન્ડટી લેબર કોલોની વર્ક પ્રોજેકટની સાઇટ પર રહી ત્યાં મજૂરી કરતાં હતાં. સવારે ક્રેઇનમાં ગ્રીસ કરતાં હતાં ત્યારે અકસ્માતે સેફટી બેલ્ટમાં ફસાઇ જતાં દબાઇ જવાથી બેભાન થઇ ગયા હતાં. તેમને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર કેટલાક સમયથી અહિ મજૂરીએ આવ્યા હતાં અને અહિ એકલા રહેતાં હતાં. બનાવથી સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના સાજીદભાઇ ખેરાણી અને બ્રિજરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:18 pm IST)