આજથી ત્રિદિવસીય ભવ્ય ૧૦૮ કુંડી શ્રીરામ મહાયજ્ઞ
વિશ્વ કલ્યાણ અર્થે ભુલેશ્વર મહાદેવ મંદિર કોઠારિયા ગામ ખાતે
રાજકોટ તા. ૩૦ : રાજકોટમાં કોઠારિયા ગામ ખાતે આવેલા ભુલેશ્વર મહાદેવ ખાતે આજે ૩૦મી નવેમ્બરથી ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી શ્રીરામ મહાયજ્ઞ યોજવામાં આવશે. ત્રિદિવસીય યજ્ઞ સમારંભ નિમિત્તે વિશાળ સંત સંમેલન પણ યોજાશે.
શ્રી જીયુડી હનુમાનજી મંદિર - જેતપુરના મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ મહંતશ્રી રામદયાલદાસજી બાપુના અધ્યક્ષસ્થાને તથા શ્રી શ્રી ૧૦૦૮ મહંત શ્રી રામરૂપદાસજી (શ્રી ભક્ત ચેલૈયાધામ, નવાગામ બિલખા)ના સાંનિધ્યમાં આ ૧૦૮ કુંડી હોમાત્મક મહાયજ્ઞનો પ્રારંભ થશે. ગઇકાલે મંગળવારના રોજ સવારે ૮ કળશયાત્રા વાજતે ગાજતે કોઠારિયા ગામમાં ઉમળકાભેર ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ૩૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી રોજ સવારે ૮થી ૧૨ તથા બપોરે ૩થી ૬ યજ્ઞાદિ સહિતની વિધિઓ થશે. આ મહાયજ્ઞ દરમિયાન દરરોજ સવારે ૮.૩૦ કલાકે સંતોના સામૈયા થશે. ધર્મસભા દરરોજ સવારે ૯થી ૧૨ તથા બપોરે ૩થી ૬ યોજાશે. દરરોજ સાંજે ૬ થી ૮ ગરબા તેમજ સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. આ અવસરે બાળકો માટે અહીં વિશાળ આનંદમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટા ફજર ફાળકા, ટોરાટોરા સહિત ચકડોળ પણ છે. ઉપરાંત અહીં રોજ બે લાખ માણસો સવાર, બપોર, સાંજ ભોજન પ્રસાદ લઈ શકે તે માટે વિશાળ રસોડું પણ આયોજન કરવામાં આવેલ છે.(