ઘંટેશ્વર પાસે અકસ્માતઃ નિવૃત એસઆરપી કર્મચારી દિલીપભાઇ પંડયાનું મોત
માધાપર ચોકડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે અજાણ્યા પ્રોૈઢનું મોત
રાજકોટ તા. ૧: ઘંટેશ્વર નજીક સાંજે વાહન અકસ્માતમાં ઇજા થતાં નિવૃત એસઆરપીમેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતાં નિવૃત એસઆરપીમેન દિલીપભાઇ અમૃતલાલ પંડયા (ઉ.વ.૬૦) સાંજે બાઇક લઇને નીકળ્યા ત્યારે એસઆરપી કેમ્પ ગેઇટ નં. ૨ પાસે અકસ્માત નડતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના ઇકબાલભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર એક બહેનથી મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સાંજે ઘરેથી આટો મારવા નીકળ્યા બાદ આ બનાવ બન્યો હતો.
બીજા બનાવમાં માધાપર ચોકડી પાસે અજાણ્યા આશરે પંચાવન વર્ષના પ્રોૈઢ રસ્તો ઓળગતી વખતે કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામના હેડકોન્સ. સંજયભાઇ કુમારખાણીયાએ કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારે કાળુ ટી શર્ટ, ગરમ કોટ વાદળી જીન્સ પહેર્યુ છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.