મુંજકામાં મહેર સમાજના સંકુલનું શનિવારે લોકાર્પણ
૧૨૦૦ વાર જગ્યામાં હોલ, રૂમ, વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા : દાંડીયારાસ, લોકડાયરાનું પણ આયોજન
રાજકોટ, તા. ૨ : આગામી તા. ૭-૫ શનિવારના સાંજે ૬ કલાકે ક્રાઈસ્ટ કોલેજ સામે મુંજકા ચોકડી, મુંજકા, રાજકોટ ખાતે મહેર સમાજ સંકુલનું લોકાર્પણ થનાર છે.
આ સંકુલમાં સેલર, ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોર, જેનો મલ્ટી પર્પઝ હોલ તરીકે ઉપયોગ કરવામાં આવશે. જે વિશાળ સંખ્યામાં જાહેર કાર્યક્રમો યોજી શકાય તેવી સુવિધાઓથી સજ્જ છે. સેકન્ડ ફલોર ઉપર ૧૫ રૂમ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને રહેવા માટે તેમજ ત્રીજા, ચોથા અને પાંચમા ફલોર પર કુલ ૪૫ રૂમ છે. જે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી રાજકોટ ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ રહી શકે અને શાંત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તેવી આધુનિક સગવડતાઓથી સભર આ સંકુલ છે.લોકાર્પણ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં જીવાભાઈ છગનભાઈ પરમાર જે ભવન નિર્માણના મુખ્ય દાતા છે. ભરતભાઈ માલદેવભાઈ ઓડેદરા પ્રમુખ, માલદેવ રાણા એજ્યુકેશન ટ્રસ્ટ, વિમલજીભાઈ નાથાજીભાઈ ઓડેદરા - પ્રમુખ, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ, ડો.વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા, સ્થાપક પ્રમુખ શ્રી મહેર સુપ્રિમ કાઉન્સીલ તેમજ મહેર સમાજના સામાજીક, ધાર્મિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં મહેર સમાજ સંકુલને ખુલ્લુ મૂકવામાં આવશે.
આ પ્રસંગે સાંજે ૬ કલાકે સંગીતના સૂરો અને ધ્વનિના સથવારે રાસની રમઝટ સાંજે ૭ કલાકે તેમજ લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી - ઉપલેટા રાત્રે ૯:૩૦ કલાકે લોકસાહિત્યથી તરબોળ કરશે.
આયોજનમાં પ્રમુખ - પરબતભાઈ ઓડેસરા (૯૮૨૫૨ ૩૦૦૯૯), વિન્નીભાઈ ઓડેદરા, ભીમાભાઈ કેશવાલા, ડો.લીલાભાઈ કડછા જોડાયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)