રૂા.દોઢ લાખના ચેકો પરત ફરવાના કેસમાં આરોપીને ર વર્ષની સજા ફરમાવતી રાજકોટ કોર્ટ
રાજકોટ, તા., ૨: ચેક રીટર્ન કેસમાં મહારાષ્ટ્રના વેપારીને ર વર્ષની સજાનો હુકમ રાજકોટની નેગોશીયેબલ કોર્ટે ફરમાવયો છે.
આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે રાજકોટ તથા અમદાવાદ મુકામે વિવિધ આર્યુવેદીક પ્રોડકટસનું ઉત્પાદન તથા વેચાણ કરતી કંપની ગીરનાર આર્યુવેદીક ફાર્મસી પ્રા.લી. દ્વારા આ કામના તહોમતદાર મે.સંજના એન્ટરપ્રાઇઝના માલીક સતીષભાઇ એસ.અગ્રવાલને તેઓના ઓર્ડર મુજબ વિવિધ આયુર્વેદીક ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવેલ અને ઉપરોકત માલની ડીલીવરી ઔરંગાબાદ મહારાષ્ટ્ર મુકામે આરોપી પેઢીના ધંધાના સ્થાને કરવામાં આવેલ.
આરોપી પાસે બીલો મુજબની કુલ દોઢ લાખની રકમ વારંવાર ઉઘરાણી કરવા છતાં રકમ ચુકવવામાં આવેલ ન હોય આ કામના ફરીયાદીએ પોતાના વકીલશ્રી મારફત રાજકોટ સીવીલ કોર્ટમાં સમરી સ્યુટ દાખલ કરેલ જે દાવામાં અને પક્ષકારો વચ્ચે સમાધાન થયેલ અને સમાધાન સમયે આ કામના આરોપી સતીષભાઇ દ્વારા ફરીયાદીને વિવિધ રકમમાં ચેકો આપવામાં આવેલ. ફરીયાદી દ્વારા ઉપરોકત ચેકો બેંકમાં વટાવવા નાખતા તમામ ચેકો ફન્ડ ઇનસફીયન્ટના શેરા સાથે પરત થયેલ. જેથી આ કામના ફરીયાદીએ નેગોશીએબલ ઇન્ટ્રુમેન્ટ એકટ મુજબની લીગલ નોટીસ પાઠવેલ તેમ છતા આ કામના આરોપી દવારા ઉપરોકત રકમનું ચુકવણુ કરેલ ન હોય તેથી ફરીયાદીએ પોતાના વકીલ મારફત રાજકોટ સ્પેશ્યલ નેગોશીએબલ કોર્ટમાં કેસ દાખલ કરેલ.
ઉપરોકત કેસ ચાલી જતા ફરીયાદીના વકીલશ્રીની રજુઆતો, ધારદાર દલીલો તથા વિવિધ હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ રાજકોટ નેગોશીએબલ કોર્ટના જજશ્રી એન.એચ.વસવેલીયા દ્વારા આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની કેદની સજા તથા ૬૦ દિવસ સુધીમાં ચેક મુજબની રકમ ચુકવવામાં ન આવે તો વધુ ૧ વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. આ કામમાં ફરીયાદી વતી રાજકોટના જાણીતા વકીલ પરેશ એન.કુકડીયા, અનિમેષ એન.ચૌહાણ, સુહેલ એ.પઠાણ, જયદીપ એમ.કુકડીયા, પાર્થ બી.કોટક તથા સહાયક તરીકે વિશાલ જોગરાણા રોકાયેલા હતા.