જુની જેલના પુનરોદ્ઘારનો પ્રકલ્પ આવકાર્યઃઠાકોર માંધાતાસિંહજી
સંવેદના દિવસની ઉજવણીમાં સુસંગત આયોજન : સ્થાપત્યો રક્ષણ
રાજકોટ તા. ર : શહેરની જુની, રજવાડાં સમયની રામનાથપરા જેલનું સમારકામ - પુનરોદ્ઘાર કરવાના પગલાંને રાજકોટના ઠાકોર શ્રી માંધાતાસિંહજી જાડેજાએ આવકાર્ય ગણાવીને રાજયના મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.
ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ જેણે આ યોજના હાથ ધરી રામનાથપરા જેલના નવીનીકરણ અને કોમ્યુનિટી હોલના નિર્માણ માટે ધન્યવાદ પાઠવ્યા છે. હેરિટેજ જાળવણી માટે ગુજરાત સરકારની નિસબત કેટલી છે તે આનાથી પુરવાર થયું છે, એવું પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીનો જન્મદિવસ સંવેદના દિવસ તરીકે જયારે ઉજવાતો હોય છે ત્યારે આ બાબત ઘણી અગત્યની બની રહેતી હોવાનું જણાવી શ્રી માંધાતાસિંહજીએ આગળ જણાવેલ કે જુની જેલ ઉત્તમ સ્થાપત્યનો નમુનો છે. એની બાંધણી, કલાત્મક રચના ઉલ્લેખનીય છે. ભલે તે જેલ છે પરંતુ બાંધકામની દ્રષ્ટિએ, આર્કિટેકચરની રીતે તો એ ઘણું મહત્વ ધરાવે છે. શહેર પોલીસ તંત્રે આ જેલનું સુંદર રીતે સમારકામ હાથ ધર્યુ તે સરાહનીય વાત છે.