સિવિલ હોસ્પીટલમાં કોંગ્રેસના ધરણાઃ અર્જુન મોઢવાડીયા-ગાયત્રીબા વાઘેલા-અશોક ડાંગર સહીત ૩૯ ની અટકાયત
રાજકોટઃ આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો જન્મદિવસ છે ત્યારે 'સંવેદના દિન' ના નામે રાજકીય તાયફાઓ થઇ રહયાના આક્ષેપો સાથે વિપક્ષ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઇ મોઢવાડીયા, પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, શહેર પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, અર્જુનભાઇ ખાટરીયા સહીતના કોંગ્રેસનાં આગેવાનો-કાર્યકરોએ સિવિલ હોસ્પીટલમાં કાયમી નિષ્ણાંત ડોકટરો અને મેડીકલ કોલેજમાં કાયમી ડીનની નિમણુંકો તેમજ દર્દીઓને આધુનીક સારવારની સુવિધાઓની ભેટ મુખ્યમંત્રીશ્રી દ્વારા નગરજનોને આપવામાં આવે તેવી માંગણી સાથે સિવિલ હોસ્પીટલનાં સુપ્રિન્ટેન્ડન્ટની ચેમ્બર સામે ધરણાનો કાર્યક્રમ યોજયો હતો. જો કે સ્થળ પર હાજર પોલીસે અર્જુનભાઇ મોઢવાડીયા, ગાયત્રીબા વાઘેલા, અશોક ડાંગર સહીતના ૩૯ જેટલા આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી હતી. તે વખતની તસ્વીરોમાં કોંગ્રેસના પ્રદેશ નેતા અર્જુનભાઇ મોઢવાડીયા તથા પ્રદેશ મંત્રી મહેશ રાજપુત ઓકસીજનના બાટલા સાથે ઓકસીજનની અછતનો પ્રતિકાત્મક વિરોધ કરી રહેલા દર્શાય છે. અન્ય તસ્વીરોમાં ગાયત્રીબા વાઘેલા, પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી સહીતનાં આગેવાનોની ધરપકડ-અટકાયત પોલીસ દ્વારા કરાયેલ તે નજરે પડે છે. આ ધરણામાં દિપ્તીબેન સોલંકી, પુર્વ કોર્પોરેટર જયાબેન ટાંક, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, હિરલબેન રાઠોડ, પ્રતિમાબેન વ્યાસ, પ્રફુલ્લાબેન મનીષાબેન વાળા સહીત ૩ર મહિલા આગેવાનો તેમજ ૭ પુરૂષ આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી હેડ કવાર્ટર ખાતે લઇ જવાયા હતા. જેમાં રણજીત મુંધવા, ભાવેશ પટેલ, ભરત મકવાણા, દિનેશ મકવાણા વગેરેનો સમાવેશ થાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)