રાજકોટ
News of Wednesday, 2nd September 2020

બળાત્કારના ગુનાનો આરોપી દિપક ફિનાઇલ પી ભકિતનગર પોલીસ મથકે પહોંચ્યોઃ સારવારમાં

ઇન્સ્ટાગ્રામ થકી ફ્રેન્ડ બનેલી યુવતિ સાથે વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દીધાનો એ-ડિવીઝનમાં ગુનો નોંધાયો હતોઃ રજા અપાયે થશે ધરપકડ

રાજકોટ તા. ૨: થોડા દિવસ પહેલા એ-ડિવીઝન પોલીસ મથકમાં એક યુવતિએ કોઠારીયા રોડ આશાપુરાનગરના દિપક સાંગાભાઇ આલ (ઉ.વ.૨૮) નામના યુવાન પર બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. યુવતિએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે પોતાને ફસાવી જુદી જુદી હોટેલોમાં લઇ જઇ બળાત્કાર ગુજારવામાં આવતાં હાલ પોતે સગર્ભા થઇ ગઇ છે અન ેતેના કારણે ઘરેથી કાઢી મુકાઇ છે અને દિપકે અગાઉ લગ્નનું વચન આપ્યું હતું તે પણ ફોક કરી નાંખ્યું છે.

એ-ડિવીઝન પોલીસે દિપકને શોધી રહી હતી. એ દરમિયાન ગત રાતે દસેક વાગ્યે એક યુવાન ભકિતનગર પોલીસ મથકના કમ્પાઉન્ડમાં આવી પડી ગયો હતો અને બૂમાબૂમ કરતાં એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. યુવાનને પુછતાં પોતાનું નામ દિપક આલ જણાવ્યું હતું. એ પછી બેભાન જેવો થઇ ગયો હતો. તેના ખિસ્સામાંથી તેના ભાઇનું નામ અને મોબાઇલ નંબર મળતાં પોલીસે તેને બોલાવી ૧૦૮ મારફત દિપકને હોસ્પિટલે ખસેડ્યો હતો.

પોલીસ પુછતાછમાં દિપકે કહ્યું હતું કે પોતાને બળાત્કારના ગુનામાં ખોટી રીતે ફસાવી દેવામાં આવતાં પોતે ફિનાઇલ પી ગયો છે. તેણે એવું પણ કહ્યું હતું કે પોતે કન્સ્ટ્રકશનનું કામ કરે છે અને બે સંતાનનો પિતા છે. થોડા વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામમાં યુવતિએ હાઇ...નો મેસેજ કર્યો હતો અને એ પછી પોતે તેના સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે ઓળખ આગળ વધી હતી. હાલ યુવતિના પેટમાં રહેલુ બાળક પોતાનું ન હોવાનું પણ દિપકે રટણ કર્યુ છે. પોલીસ આ માટે જરૂર પડ્યે ડીએનએ ટેસ્ટ કરાવશે.

દિપક બળાત્કારના ગુનામાં ફરાર હોવાનું એએસઆઇ નરેન્દ્રભાઇને જાણવા મળતાં તેમણે એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં એએસઆઇ આર.આર. સોલંકી સહિતે હોસ્પિટલમાં દિપક પર પહેરો ગોઠવી દીધો હતો. તેને રજા અપાયા બાદ બળાત્કારના ગુનામાં ધરપકડની કાર્યવાહી થશે.

(12:56 pm IST)