રાજકોટ
News of Wednesday, 2nd September 2020

શસ્ત્રોથી મર્ડર કરવા કરતાં મેમરી મર્ડર વધારે હિંસક છેઃ મેમરી મર્ડરથી મુકત બનીએ :રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.

ભગવાન મહાવીર દેશના સમિતિ આયોજિત જૈન પર્યુષણ પર્વ ૧૮ દિવસીય આરાધના મહોત્સવનું પાંચ મહાવ્રતોના બોધ પ્રવચન સાથે સમાપન : રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિજી મ.સા., આચાર્ય પૂ. શ્રી શ્રુતસાગરજી મ.સા., આચાર્ય પૂ. શ્રી પ્રજ્ઞસાગરજી મ.સા., યુવાચાર્ય શ્રી મહેન્દ્રઋષિજી મ.સા., આચાર્ય શ્રી પ્રણામસાગરજી મ.સા. સહુને બોધિત કર્યા

રાજકોટ,તા.૨:ભગવાન મહાવીર દેશના સમિતિ દ્વારા છેલ્લાં ૧૮ દિવસથી ચાલી રહેલાં જૈન પર્યુષણ પર્વ આરાધના મહોત્સવનું પાંચ મહાવ્રતોના બોધ પ્રવચન સાથે સમાપના કરવામાં આવ્યું હતું.

શ્રમણ સંઘ પૂજય શ્રી મધુસ્મિતાજી મહાસતીજીના શ્રીમુખેથી મંગલાચરણ તેમજ સુંદર ગીત પ્રસ્તુતિ સાથે આ અવસરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રભુ મહાવીર કથિત સિધ્ધાંતોની મહત્ત્।ા દર્શાવતાં આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂજય આચાર્ય શ્રી શ્રુતસાગરજી મહારાજ સાહેબ, આચાર્ય પૂજય શ્રી પ્રજ્ઞસાગરજી મહારાજ સાહેબ, પૂજય શ્રી સૌરભજી મહારાજ સાહેબ, પૂજય શ્રી દિપેશમુનિજી મહારાજ સાહેબ યુવાચાર્ય પૂજય શ્રી મહેન્દ્રઋષિજી મહારાજ સાહેબ તેમજ આચાર્ય પૂજય શ્રી પ્રણામસાગરજી મહારાજ સાહેબે એક સાથે ઉપસ્થિત રહીને જૈન એકતાના દર્શન કરાવ્યાં હતાં.

લાઈવ પ્રસારણના માધ્યમે આયોજિત આ અવસરે મુખ્ય અતિથિ સ્વરૂપે તીર્થંકર મહાવીર યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી સુરેશજી જૈન, ભારતીય જૈન સંગઠનના શ્રી રાજેન્દ્રજી લુંકડ સાથે જૈન કોન્ફરેંસના શ્રી સુભાષજી ઓસવાલ જૈન, શ્રી અનિલજી જૈન (CA), શ્રી રાજીવજી જૈન (CA) તેમજ શ્રી મનોજજી જૈન આદિ મહાનુભાવો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ અવસરે ભગવાન મહાવીર દેશના સમિતિ દ્વારા થઈ રહેલાં જૈન એકતાના કાર્યોની પ્રશસ્તિ કરીને રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવે અહિંસા સંબંધી પોતાની વિચારધારા વ્યકત કરતાં ફરમાવ્યું હતું કે, આપણે કદાચ શસ્ત્રથી કોઈની હિંસા નથી કરતાં પરંતુ કોઈક વ્યકિત પ્રત્યેની આપણી અંદરમાં પડેલી નેગેટિવિટીની મેમરીથી વારંવાર હિંસા કરતાં રહીએ છીએ. મેમરી મર્ડર તે ભાવહિંસા છે જે દ્રવ્ય હિંસાથી પણ વધારે ખતરનાક છે. આપણે આવી મેમરીની હિંસાથી મુકત બની બ્રોડ વિચારધારાને અપનાવવી છે. આપણી વિચારધારા જયારે બ્રોડ બનશે ત્યારે જ જૈન એકતાના આપણાં પુરૂષાર્થ આર્થક બનશે. પંથવાદ તે રોડ પર ચાલવા જેવું છે અને બ્રોડ વિચારધારા તે સ્કાય માં ફ્લાય કરવા સમાન છે. રોડ સિમિત હોય છે, સ્કાય અસિમીત હોય. પરમાત્મા સ્કાય સ્વરૂપ છે અને સ્કાય સુધી પહોંચવા આપણે મેમરીથી મુકત બની બ્રોડ વિચારધારા સાથે ફ્લાય કરવાનું છે.

ઉપરાંતમાં, પૂજય શ્રી શ્રુતસાગરજી મ. સા. એ સત્ય વ્રતનો બોધ આપતાં ફરમાવ્યું હતું કે, સત્ય અને આનંદ આપણી ભીતરમાં જ સમાયા છે. સત્ય સુંદર છે. દરેકની આત્મા અને દરેકની ચેતના એક સમાન છે. આપણે સહુ એક છીએ. આપણે જિનેન્દ્રના અનુયાયી છીએ. એ સાથે જ, આચાર્ય શ્રી મહેન્દ્રઋષિજી મ. સા. એ આ અવસરે બ્રહ્મચર્યની પરિભાષા દર્શાવતા કહ્યું હતું કે, પરથી પરે થઈને નિજના આનંદમાં રહેવું તે બ્રહ્મચર્ય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો આપણાં આત્મભાવને હેક કરી રહ્યા છે પરંતુ જ્ઞાન અરજી માટે બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. આપણે જેટલા આપણી ભીતરમાં જઈએ છીએ એટલા જ સંપન્ન બનીએ છીએ. આચાર્ય પૂજય શ્રી પ્રજ્ઞસાગરજી મ.સા. એ ચોરી અને અપરિગ્રહ સબંધી બોધ આપીને સમજાવ્યું હતું કે, આપણે જે છીએ એટલે કે આપણાં આત્મા સિવાય કશું મારુ નથી, તે ભાવ અચૌર્ય છે. મારુ નથી તેને મારૂ ઘોષિત કરવું તે ચોરી છે.

એ સાથે જ, આ અવસરે શ્રી સુરેશજી જૈન, શ્રી રાજેન્દ્રજી જૈન, ડો. મણીન્દ્રજી જૈન તેમજ શ્રી સુભાષજી ઓસવાલ જૈને પોતાના વિચારોની અભિવ્યકિત કરીને સહુના સાથ સહકાર બદ્દલ આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર અવસરનું સંચાલન રાજીવજી જૈને કર્યું હતું.

(2:55 pm IST)