રાજકોટ
News of Friday, 2nd October 2020

ફાયર સેફટીના કડક નિર્ણયથી યુવા ઇજનેરોને સ્વરોજગારીની તક મળશે

રાજ્ય સરકારના સંવેદાત્મક અભિગમને આવકારતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ તા. ૨ : રાજય સરકાર દ્વારા લોકોના જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ આપવા માટેના ફાયર સેફટીના નિર્ણાયક અભિગમ બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમારે આભાર વ્યકત કરેલ.

આ અંગે પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા લોકોના જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ આપવા માટે નિર્ણાયક અભિગમ એટલે કે, ફાયર સેફટીના કડક અમલનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે માટે દરેક મકાન માલિક, કબજેદારો, ફેકટરી ધારકોએ NOC મેળવવાનું રહેશે અને તેને દર ૬ મહિને રિન્યુઅલ કરાવવાનું રહેશે.

આ હેતુસર પ્રાઇવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે પ્રેકિટસ કરવા અંગે રાજય સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવશે. રાજય સરકાર દ્વારા લેવામાં આવેલ આ સર્વજન સુખાકારી માટેનો આ નિર્ણય સિવિલ, મિકેનિકલ, ઇલેકિટ્રકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સ માટે ખૂબ લાભદાયી થશે અને યુવા એન્જિનિયર્સને સ્વરોજગારીની નવી તકો મળશે. એમ અંતમાં પદાધિકારીઓએ જણાવેલ.

(2:43 pm IST)