વકીલોને પડતી મુશ્કેલીઓ અંગે તેમજ બાર અને બેંચ વચ્ચે મીટીંગ યોજવા અંગે બાર એસો.નો ચીફ જસ્ટીસને પત્ર
રાજકોટ તા. ૩ : વકીલોને પડતી મુશ્કેલીઓ નિવારવા અને બાર અને બેંચ વચ્ચે હંમેશા સમન્વય સંધાઇ રહે તે માટે રાજકોટ બાર એસો.ના પ્રમુખ શ્રી લલિતસિંહ શાહી અને સેક્રેટરીશ્રી દિલીપભાઇ જોષીએ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસશ્રીને પત્ર પાઠવીને રજૂઆત કરવા માટે સમય ફાળવવાની માંગણી કરે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વકીલોની મુશ્કેલીઓ અને બાર અને બેંચ વચ્ચે સુમેળ જળવાઇ રહે તે માટે રાજકોટ ડીસ્ટ્રીકટ જજને પણ પત્ર પાઠવેલ હતો.
આ પત્રની વિગતમાં જણાવાયું છે કે, રાજકોટના વકીલોને વિવિધ પ્રશ્નો અંગે મુશ્કેલીઓ પડતી હોય તેઓ દ્વારા બાર એસો.ને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવતી હોય છે. આવા પ્રશ્નોમાં ઘણી વખત બાર અને બેંચ વચ્ચે સુમેળ જળવાતો ન હોય ત્યારે બાર એસો. પાસે વકીલોની ફરિયાદો આવતી હોય છે. તેથી આવા પ્રશ્નો ભવિષ્યમાં ઉભા ન થાય અને બાર અને બેંચ વચ્ચે કાયમી સુમેળ સધાઇ રહે તે માટે ચર્ચા કરવા રાજકોટ ડીસ્ટ્રીકટ જજને પત્ર પાઠવેલ હતો.
આ પત્ર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસશ્રી તેમજ યુનિક જજને પણ મોકલવામાં આવેલ છે અને ઉપરોકત પ્રશ્નો અંગે વકીલોને પડતી મુશ્કેલીઓ નિવારવા ચર્ચા કરવા સમય આપવા ચીફ જસ્ટીસને પત્ર પાઠવેલ છે.