સગીરાના અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ
રાજકોટ તા. ૩ :.. સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઇ દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.
ગત તા. ૧૧-૧ર-ર૧ ના રોજ રાજકોટ તાલુકાના ગામમાંથી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઇ દુષ્કર્મ ગુજારવાને ગુન્હો આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપી ભાવેશભાઇ પરબતભાઇ સાકરીયા રહે. લોઠડા ગામ તા. જી. રાજકોટ વાળાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપી સામે પુરતો પુરાવો મળી આવતા ચાર્જશીટ દાખલ કરેલ.
ચાર્જશીટ બાદ આરોપીએ જેલમાંથી જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્હો છે. અને આવા ગુન્હાના આરોપીને જામીન આપવામાં આવશે તો તેને કાયદાનો કોઇ ડર રહેશે નહી. અને ફરી આવા ગુન્હા કરશે તેથી જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ તે રજૂઆતને ધ્યાને લઇ સેશન્સ જજશ્રી જે. ડી. સુથારે જામીન અરજી રદ કરેલ છે.
આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હતાં.