ડીસીપી ઝોન-૧નો ચાર્જ સંભાળતા સજ્જનસિંહ પરમારઃ કાયદો વ્યવસ્થાને પ્રાધાન્ય આપશે
શહેરમાં એસીપી તરીકે અગાઉ ફરજ બજાવી ચુક્યા હોવાથી ગુનાખોરીની મોડસ ઓપરેન્ડીથી વાકેફ છે અને સ્ટાફ સાથે પણ સારો તાલમેલ ધરાવે છે
રાજકોટ તા. ૩: આગામી વિધાનસભાની ચૂંટણી પુર્વે સબ ઇન્સ્પેક્ટરથી લઇને આઇપીએસ સુધીના અધિકારીઓની સામુહિક બદલીઓ થયા બાદ આજે રાજકોટના ડીસીપી ઝોન-૧ તરીકે નિમણુંક પામેલા અનુભવી અધિકારીશ્રી સજ્જનસિંહ પરમારે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો. ‘અકિલા' સાથેની વાતચીતમાં શ્રી પરમારે કાયદો અને વ્યવસ્થાને પ્રાધાન્ય આપવાની નેમ હોવાનું જણાવ્યું હતું.
અગાઉ શહેરના એસીપી તરીકે સજ્જનસિંહ પરમાર ફરજ બજાવી ચુક્યા હોવાથી તેઓ રાજકોટ શહેરની ગુનાખોરીની નાડપારખુ અધિકારી છે. આ અનુભવ તેમને નવા કાર્યભાર માટે ઘણો ઉપયોગી સાબિત થશે. તેમની સાથે શહેરના અધિકારીઓ અને કર્મચારીઓને પણ ભુતકાળમાં સારો તાલમેલ રહેલો હતો.
ડીસીપી પરમારના કાર્યક્ષેત્રમાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશન, થોરાળા પોલીસ સ્ટેશન, કુવાડવા પોલીસ સ્ટેશન, એરપોર્ટ પોલીસ સ્ટેશન, ભક્તિનગર પોલીસ સ્ટેશન અને આજીડેમ પોલીસ સ્ટેશન આવે છે. આ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુનાઓનો વધુમાં વધુ ઝડપે નિકાલ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવાનો કોલ તેમણે આપ્યો હતો.