તહેવારો દરમ્યાન કોઈપણ ઇમર્જન્સીને પહોંચી વળવા રાજકોટ જિલ્લામાં ૪૦ જેટલી ૧૦૮ વાન ૨૪ કલાક સ્ટેન્ડટુ રહેશે
સામાન્ય દિવસો કરતા દિવાળીના ત્રણ દિવસના તહેવારોમાં કેસોમાં ૨૭ % જેટલા વધારો જોવા મળે છે: ગંભીર અકસ્માતો, તાવ, દાઝવા, હૃદયરોગ અને પ્રસુતિના કેસોમાં જોવા મળે છે વધારો: ૨૪ કલાક સ્ટાફ સાથે ઓક્સિજન અને દવાનો પર્યાપ્ત સ્ટોક જરૂરિયાતને જોઈ વધારે રખાશે
રાજકોટ:ઈમરજન્સીમાં આરોગ્ય સંબંધી સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૮ ઇમરજન્સી સેવા સદા મદદ માટે તત્પર રહેતી હોઈ છે.
રાજકોટ જિલ્લા કો-ઓર્ડીનેટર વિરલ ભટ્ટના જણાવ્યા મુજબ દિવાળી, નવું વર્ષ અને ભાઈ બીજના તહેવારોમાં સામાન્ય દિવસ કરતા અકસ્માત, વાયરલ તાવ, દાઝવાના બનાવો વધી જતા હોઈ છે. છેલ્લા પાંચ વર્ષના તહેવારોના આંકડા પરથી ખાસ ફોરકાસ્ટ ટેબલ તૈયાર કરી ૧૦૮ ની સર્વિસની જરૂરિયાતમાં કેટલા ગણો વધારો થશે તેનો અંદાજ લગાવી તે મુજબ આરોગ્ય ટીમ સુનિશ્ચિત કરવામાં આવે છે.
ફોરકાસ્ટ મુજબ ટ્રોમાના કેઈસ સામાન્ય દિવસના ૨૦ થી ૨૨ ની સામે દિવાળીના દિવસોમાં કેસ લગભગ બમણા એટલે કે ૪૫ થી ૫૫ જેટલા જોવા મળે છે. જેને લઈને રાજકોટ શહેરમાં ૧૭ મળીને જિલ્લામાં ૪૦ જેટલી ૧૦૮ વાન ૨૪ કલાક માટે ઉપલબ્ધ રાખવામાં આવી છે. પાંચમ સુધી તમામ સ્ટાફ રજા વગર ફરજ પર હાજર રાખવામાં આવેલ હોવાનું શ્રી વિરલભાઈ જણાવે છે.
રોડ અકસ્માત, હૃદય રોગ, તાવ ,પ્રસૂતા મહિલાઓને ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ દ્વારા જ સારવાર સ્થળ પર મળી રહે તે માટે ઓક્સિજન, દવા સહિતનો વધારાનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો હોવાનું પણ વિરલભાઈ જણાવે છે.
સામાન્ય દિવસો કરતા કેઈસ વધવાના કારણ અંગે જણાવે છે કે, લોકો રજાના દિવસોમાં બહાર હરવા ફરવા જતા હોઈ અકસ્માત તેમજ ખોરાકના કારણે રોગો વધવાની સંભાવના વધી જતી હોઈ છે.
૧૦૮ ની ટીમ સમયસર સ્થળ પર જઈ ગોલ્ડન ટાઈમમાં સતત મદદરૂપ બની અનેક માનવ ઝીંદગી બચાવવામાં મદદરૂપ બની રહી છે, ત્યારે દીપાવલી તહેવારો દરમ્યાન લોકોની આરોગ્ય સંબંધી સેવાઓ જળવાઈ રહે તે માટે ટીમ ૧૦૮ સજ્જ છે.