રાજકોટ
News of Wednesday, 4th August 2021

ગોવર્ધન ચોક પાસે રસ્તો ઓળંગી રહેલા પુનિત નગરના હરદેવસિંહ જાડેજાનું રિક્ષાની ઠોકરે મોત

બીઆરટીએસમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા'તાઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૪: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે રસ્તો પસાર કરી રહેલા બીઆરટીએસના સિકયુરીટી ગાર્ડ પુનિતનગર પાસે કર્મચારી સોસાયટી-૨માં રહેતાં હરદેવસિંહ નટુભા જાડેજા (ઉ.વ.૬૦) રિક્ષાની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

હરદેવસિંહ જાડેજા સાંજે ગોવર્ધન ચોક પાસેથી ઇજાગ્રસ્ત મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે માલવીયાનગર પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર હરદેવસિંહ બીઆરટીએસમાં સિકયુરીટી ગાર્ડ હતાં. કામ સબબ રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે રિક્ષાની ઠોકરે ચડી જતાં આ બનાવ બન્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)