રાજકોટ
News of Friday, 4th September 2020

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારામાં સારી સારવારઃ સુંદર વ્યવસ્થા હોવાના દર્દીઓના પ્રતિભાવો

રાજકોટ તા.૪: રાજકોટની ડીસ્ટ્રીકટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે શ્રેષ્ઠ સારવાર અને ચા-પાણીથી માંડીને જમવાની સારામાં સારી વ્યવસ્થા હોવાથી સારવાર લેતા દર્દીઓએ રાજય સરકાર અને જિલ્લા તંત્ર-તબીબોનો આભાર માન્યો હતો.

રાજકોટમાં કોરોનાની સારવાર લેતા સુરેન્દ્રનગરના સલીમભાઈએ કહ્યું કે, ચાર દિવસની સારવારથી હવે તબિયતમાં સુધારો થયો છે. તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા છે. રાજકોટના સોનાબેને કહ્યું કે પ્રથમ દિવસે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારી ટ્રીટમેન્ટ મળી જતા તેમને રાહત થઈ ગઈ છે. અમિતભાઈ નામના ગૃહસ્થે કહ્યું કે, તબીબો અને પેરામેડીકલ સ્ટાફ દ્વારા સતત જરૂરીયાત મુજબ તપાસ તેમજ જમવાની સારી વ્યવસ્થા છે. રાજય સરકાર દ્વારા હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ખુબ સુંદર વ્વયસ્થાઓ, સુવિધાઓ-સવલતો આપવામાં આવી છે. મેહુલભાઈએ કહ્યું કે, પરિવારના સભ્યોની જેમ દર્દીઓ સાથે વર્તાવ કરવામાં આવે છે. અમરબેન નામના વૃધ્ધાએ કહ્યું કે, કયાંય પણ કચરો જોવા મળતો નથી. હોસ્પિટલ એકદમ ચોખ્ખી છે. જમવાની પણ સારી વ્યવસ્થા છે. રાજકોટના મોવડી વિસ્તારમાં રહેતા વિરલભાઇએ જણાવ્યું હતુ કે તેમને તા.૨૮ના રોજ રાત્રે શ્વાસની તકલીફ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોકટરોએ તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર લઈ સારવાર આપતા તેમને રિકવરી આવી ગઈ છે તેમ જણાવી તંત્ર,તબીબો અને સરકારનો આભાર માન્યો હતો. રાજકોટના પુનિત નગર માં રહેતા અજય સિંહે જણાવ્યું હતું કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારામાં સારી સારવાર આપવામાં આવે છે અને જમવાની વ્યવસ્થા પણ સારી છે.૧૫૦ ફુટ રોડ પર રહેતા દામજીભાઇએ કહ્યું હતું કે દરદીઓની નિયમિત તપાસ કરી સારવાર અને સવારે નાસ્તો, લીંબુપાણી ,બપોરે જમવાનું તેમજ રાત્રે ભોજન અને હળદર વાળું દૂધ તેમજ કાવો આપવામાં આવે છે.

રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલી કોવીડ-૧૯ હોસ્પિટલમાં અદ્યતન મેડીકલ ઈન્સ્ટ્રુમેન્ટ, સેન્ટ્રલી ઓકિસજન વ્યવસ્થા તેમજ વેન્ટીલેટર ઉપરાંત સમયસર દર્દીઓ જલ્દી સાજા થઈ જાય તે માટે દેખરેખ અને સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓએ રાજકોટમાં સંવેદનશીલ રાજય સરકારના આરોગ્ય વિભાગ તંત્ર અને સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા સંકલનથી કરવામાં આવી રહેલી કામગીરી આવકારી છે.

(2:52 pm IST)