રાજકોટ
News of Saturday, 5th September 2020

કોરોનાની સારવાર, સીધી દર્દીના દ્વારઃ હોમ આઇસોલેટેડ દર્દીઓની દેખરેખ રાખવા માટે ૮૦ યોધ્ધાઓની ટીમ

મ્યુનિસિપલ કોર્પોરેશનના કોવિડ વોર રૂમની સરકારના માર્ગદર્શન હેઠળ કાબીલેદાદ કામગીરીઃ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલની રાહબરી હેઠળ સમગ્ર પ્રોજેકટ કાર્યરત : ૨૧ હેલ્થ સેન્ટરના ટેલિમેડિસીન કાર્યકર દર્દીને ફોન કરી ૨૪ કલાક ફોલોઅપ મેળવતા રહે છે

રાજકોટ તા. ૫ : 'હલ્લો........... હા, હિરેનભાઈ હું સંજીવની રથમાંથી બોલું છું, કેમ છે આપની તબિયત ?

હા બેન મને તાવ આવતો હતો હવે તેમાં સારૂ છે અને તબિયત સુધારા પર છે. તમે આપેલી મારી દવા ખાલી થઈ ગઈ છે.

હમણા કલાકમાં જ રથ આપની ઘરે આવી ચેકીંગ કરીને દવા આપી જશે.'

આ વાતચીતના અંશો છે, રાજકોટ મહાનગરપાલીકાના અર્બન હેલ્પડેસ્ક પરના સંનિષ્ઠ કર્મચારી અને હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવતા દર્દી વચ્ચેની. જે દર્દીઓની તબિયત સુધાર ઉપર હોય અથવા કોરોનાના નહિવત્ત્। લક્ષણો ઘરાવતા હોય અને હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવતા હોય તેવા રાજકોટ શહેરના દર્દીઓનો ટેલીફોનિક સંપર્ક દ્વારા વર્ચ્યુઅલ વિઝીટ કરવામાં આવે છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અને નાયબ આરોગ્ય અધિકારી ડો. મનિષ ચુનારાના સંકલનથી સમગ્ર પ્રોજેકટ કાર્યરત છે.

રાજકોટ શહેરમાં તા. ૨-૦૮-૨૦૨૦ના રોજ સંજીવની રથનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને હાલમાં કુલ ૨૪ સંજીવની રથ કાર્યરત છે. જેમાં એક કોવિડ મેડીકલ ઓફિસર અને એક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમ મળીને કુલ ૫૦ જેટલા આરોગ્યના ફિલ્ડવર્ક કરતા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેમજ ડેસ્ક પરથી સતત ફોલોઅપ લઈને કામગીરી કરતા ૩૦ જેટલા લોકો મળીને કુલ ૮૦ જેટલા યોધ્ધાઓ કોરોનાને હંફાવવા મિશન મોડમાં સધન કામગીરી છે. જેમાં આર.બી.એસ.કે.ના ૨૬ જેટલા ડોકટરોનો સમાવેશ થાય છે, તેમ આર.બી.એસ.કે. ડો. પુજાબેન રાચ્છ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ સમગ્ર પ્રોજેકટની વાત કરતા કોવિડ વોર રૂમના ડો. જલ્પાબેન વાઘેલા જણાવે છે કે, રાજકોટમાં કોરોનાના સંક્રમણને કાબુમાં લેવાની સાથેસાથે સંક્રમિત દર્દીઓના ઝડપી સુધાર માટે સંજીવની રથ પ્રોજેકટ સફળતાથી આગળ વધી રહ્યો છે. દર્દીની સંભાળના તમામ તબક્કા પર નજર રાખતા આ કાર્યમાં દરદી જેવો હોમ આઈસોલેટ થાય છે, તેની નોંધ આ કંટ્રોલરૂમમાં થઈ જાય છે. દર્દીની કોઈ ફરીયાદ હોય કે ના હોય રાજકોટના ૨૧ હેલ્થ સેન્ટરના ટેલીમેડીસીન કાર્યકર દરદીના મોબાઈલ પર ફોન કરીને દર ૨૪ કલાકે ફોલોઅપ મેળવે છે. જો તેમાં દર્દીને કોઇપણ પ્રકારની તકલીફ વધે તો રથ સબંધિત દર્દીના ઘરે પહોંચી જાય છે.

(2:38 pm IST)