જયુબેલી શાકમાર્કેટ-પરાબજારમાં દબાણ હટાવ વિભાગ ત્રાટકયો : ટોળા વિખેર્યા-દંડને બદલે માસ્ક વિતરણ કર્યુ
રસ્તા પરથી ગેરકાયદે રેકડીઓ સહિતનો માલ જપ્ત
જયુબેલી શાકમાર્કેટમાં લોકોના ટોળા જામતા હોય મ.ન.પા.નાં જગ્યા રોકાણ વિભાગે ત્રાટકી રેકડી સહિતનાં માલ-સામાનના દબાણો હટાવી ટોળા વિખેર્યા હતા ત્થા માસ્ક વગરનાં રેકડી ધારકોને દંડ કરવાને બદલે માસ્કનું વિતરણ કર્યુ હતુ તે વખતની તસ્વીર : (તસ્વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ, તા. ૬ : કોરોનાં સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સોશ્યલડીસ્ટન્સ અત્યંત જરૂરી છે. પરંતુ જયુબેલી શાકમાર્કેટ -પરાબજાર વિસ્તારમાં ધુમ ગીર્દી થતી હોઇ આજે સવારે જગ્યા રોકાણ વિભાગે ત્રાટકી અને દબાણો હટાવી ટોળા વિખેર્યા હતાં.
આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ આજે ૧૧ વાગ્યા આસપાસ જગ્યા રોકાણ વિભાગનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે જયુબેલી શાકમાર્કેટ રોડ અને પરાબજાર રોડ પર ત્રાટકતાં રેકડી-પાથરણાવાળાઓમાં ભાગ દોડ મચી હતી. આ બંને સ્થળોએ દરરોજ અસહ્ય ભીડ રહેતી હોઇ કોરોનાં સંક્રમણ વધુ ફેલાવાનો ભય હોવાથી ડે. કમિશનર શ્રી સિંઘના માર્ગદર્શન હેઠળ જગ્યા રોકાણ ટુકડીએ આજે સાંજે ખાસ ઝુંબેશ હાથ ધરી બંને રોડ ઉપરથી રેંકડી-સહિતનો માલ-સામાન જપ્ત કરી અને માસ્ક નહીં પહેરનાર લોકોને દંડ ફટકારવાને બદલે માસ્કનું વિતરણ કરી માનવતાં દાખવી હતી. તેમજ રસ્તા પરથી ટોળાઓ વિખેર્યા હતાં.