મવડી પંચશીલનગરમાં વૃધ્ધ છગનભાઇ સાગઠીયા પર પિયુષ રાઠોડની ધોકાવાળી
અગાઉની ફરિયાદમાંથી મારી પત્નિનું નામ કાઢી નાંખજે કહી હુમલો
રાજકોટ તા. ૬: મવડીમાં રહેતાં રિક્ષાચાલક વૃધ્ધ રાતે જમીને શેરીના નાકે આટો મારવા ગયા ત્યારે જુના મનદુઃખને લીધે આંબેડકરનગરના શખ્સે ધોકાથી હુમલો કરી માર મારતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ બનાવમાં તાલુકા પોલીસે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા મવડી ગામ પંચશીલનગર-૬/૮માં રહેતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં છગનભાઇ ટાભાભાઇ સાગઠીયા (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રેતાં પિયુષ રમેશભાઇ રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
છગનભાઇએ જણાવ્યું હતું કે હું રાતે સાડા નવેક વાગ્યે જમીને ઘર બહાર શેરીના નાકે આટો મારવા ગયો હતો ત્યારે અગાઉના ઝઘડાનો ખાર રાખી પિયુષ રાઠોડ બાઇક પર આવ્યો હતો અને મારા પર ધોકાથી હુમલો કરી ગાળો દઇ હાથમાં ઇજા પહોંચાડી હતી. તેમજ વધુ ઘા ફટકારી વાંસા અને માથામાં પણ માર માર્યો હતો.
પિયુષ વિરૂધ્ધ અગાઉ અમે ફરિયાદ કરી હોઇ તેણે ફરિયાદમાંથી તેની પત્નિનું નામ કાઢી નાંખવાનું કહી જો નામ નહિ કાઢે તો સારાવટ નહિ રહે તેવી ધમકી આપી હતી. પિયુષ સહિતના વિરૂધ્ધ અગાઉ મારા દિકરા કિરીટ સાગઠીયાએ પોલીસ ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો. હેડકોન્સ. પી. વી. જીલરીયાએ ગુનો નોંધ્યો હતો.
આંબેડકરનગરમાં અરૂણને સાગર પરમારે માર માર્યો
અન્ય બનાવમાં એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૫માં રહેતાં અરૂણ વિનોદભાઇ રાઠોડ (ઉ.૧૮)ને સાગર પરમાર, મનિષાબેન સહિતે કોઇ કારણે ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.