રાજકોટ લોહાણા મહાજન વાડીને નવિનીકરણ સાથે અદ્યતન બનાવવામાં આવી
આવતીકાલે લોકાર્પણ : કેસરીયા લોહાણા મહાજનવાડી, કાલાવડ રોડ ખાતે ૧પ૦ વ્યકિતઓની કેપેસિટી ધરાવતો નાવિન્યકરણ સાથેનો એ.સી.હોલ અને ત્રીજા માળે અન્ય ૬ રૂમો સમયને અનુરૂપ એ.સી. બનાવવામાં આવ્યા : પાર્કિંગ સહિત ત્રણેય માળને નવા નકકોર બનાવી પ્રોફેશનલ ટચ સાથે ઝગમગતા કરી દેવાયા : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની ટીમની મહેનત રંગ લાવી
રાજકોટ તા. ૬ : વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન અને અઢી લાખ જેટલા રઘુવંશીઓની માતૃસંસ્થા રાજકોટ લોહાણા મહાજન દ્વારા સંચાલિત કાલાવડ રોડ ખાતેની કેસરીયા લોહાણા મહાજન વાડીને સમયને અનુરૂપ નવીનીકરણ સાથે અદ્યતન બનાવવામાં આવી છે. પ્રોફેશનલ ટચ સાથે રીનોવેટ થયેલ લોહાણા મહાજન વાડીનું લોકાર્પણ આવતીકાલ તા. ૭ ઓગષ્ટ ર૦રરના રોજ સવારે ૧૧ વાગ્યે કરવામાં આવનાર છે. અકિલા પરિવારના મોભી, રાજકોટ લોહાણા મહાજનના પ્રેરણાષાોત, લોહાણા જ્ઞાતિના શુભચિંતક, જ્ઞાતિશ્રેષ્ઠશ્રી કિરીટભાઇ ગણાત્રા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
કેસરીયા લોહાણા મહાજન વાડી ખાતે ૧પ૦ વ્યકિતઓની કેપેસીટી ધરાવતો નવિન્યકરણ સાથેનો એ.સી.હોલ અને સાથે-સાથે ત્રીજા માળે અન્ય ૬ રૂમો પણ જમાનાને અનુરૂપ એ.સી. બનાવવામાં આવ્યા છે. ઉપરાંત પાર્કિંગ સહિત અન્ય ત્રણેય માળને નવા નકકોર બનાવીને નવા રંગ-રૂપ લાઇટીંગ સાથે ઝગમગતા કરી દેવાયા હોવાનું રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ અકિલાને જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે વિવિધ સેવાકીય, સાંસ્કૃતિક, સામાજીક, શૈક્ષણિક, તબીબી, ધાર્મિક કાર્યક્રમો સતત થઇ રહ્યા છે, કે જેનો લાભ જ્ઞાતિજનો ઉમળાકાભેર લઇ રહ્યા છે. તાજેતરના ભૂતકાળમાં જ રાજકોટ લોહાણા મહાજન દ્વારા યોજાયેલ ઐતિહાસિક અલૌકીક, ભવ્ય, દિવ્ય, જ્ઞાતિમાં જબ્બરદસ્ત એકતા ઉભી કરનાર ‘શ્રી રામકથા'ની નોંધ તમામ સમાજોમાં વૈશ્વિક કક્ષાએ લેવામાં આવી હતી.