ટોરેન્ટો-કેનેડામાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ઉમંગ છવાયો
રાજકોટ : શાંતિ સંવાદિતા અને આધ્યાત્મિક ગુણોના વિશ્વદુત સમાન પૂ. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવને લઇને કેનેડાના ટોરેન્ટો ખાતે પણ અનેરો ઉમંગ છવાયો છે. આ મહોત્સવને લઇને અનેક ઘોષણાઓ અને સન્માનો અર્પણ કરવામાં આવ્યા હતા. ટોરેન્ટોના મેયર જહોન ટોરીએ ૭ ડીસેમ્બર ૨૦૨૨ ને પ્રમુખ સ્વામી શતાબ્દી ઉત્સવ દિન તરીકે ઉજવણી કરવાની ઘોષણા કરી છે. જયનશે લેકશ ઇમીગ્રેશન, ટ્રેનીંગ અને સ્કિલ્સ ડીપાર્ટમેન્ટના મંત્રી શ્રી મોન્ટે મેકનોટન દ્વારા ૭ ડીસેમ્બરે નાયગરા ધોધને કેસરી, લાલ અને સફેદ રંગોની રોશની કરી પ્રમુખ સ્વામી મહારાજને આદરાંજલી અર્પવા નિર્ણય જાહેર કરાયો છે. એમ.પી. શ્રી કસ્ટી ડંકન દ્વારા આ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિશિષ્ટ સોવેનીયર પ્રકાશિત કરવાની ઘોષણા કરી હતી. વિલિયમ ઓસ્લર હેલ્થ સિસ્ટમ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ અને સીઇઓ દ્વારા બ્રેમ્પટન સીવીક હોસ્પિટલમાં એમ્બ્યુલટરી ઓન્કોલોજી સર્વીસીસમાં પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિમાં પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરાઇ હતી. ટોરેન્ટોના ઇન્ટરનેશનલ સેન્ટર કોન્ફરન્સ હોલમાં યોજાયેલ આ સમારોહમાં કેનેડાની પાર્લામેન્ટના મંત્રીઓ, મહાનુભાવો અને ૭૦૦ જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કેનેડાના મીનીસ્ટર ઓફ હાઉસીંગ એન્ડ ડાયવર્સીટી એન્ડ ઇંકલુઝન શ્રી અહમદ હુસેને પણ પ્રમુખ સ્વામી મહારાજને અંજલી અર્પણ કરી હતી. ઉપરાંત કેનેડા ખાતેના ભારતીય રાજદુત શ્રી સંજયકુમાર વર્માએ જણાવેલ કે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ માત્ર આ સ્થળે નહીં સમગ્ર વિશ્વના ૧૪૦ કરોડ ભારતીયોના マદયમાં ઉજવાઇ રહ્યો છે. કેનેડામાં યોજાઇ રહેલા શતાબ્દી મહોત્સવોમાં આ ૧૯ મો મહોત્સવ હતો. હાલ સમગ્ર અમેરીકા, આફ્રીકા, યુરોપ, ઓસ્ટ્રેલીયા, એશીયાના અનેક દેશોમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવોના આયોજનો થઇ રહ્યા છે. જેની ચરમસીમારૂપે અમદાવાદમાં ૧૫ ડીસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી ભવ્ય મહોત્સવ ઉજવાશે.