નવાગામના પુલ પાસે પગપાળા જઇ રહેલા લાખુબેન જખાણીયાનું ટ્રકની ઠોકરે મોત
રાજકોટ તા. ૭: કુવાડવા રોડ પર નવાગામ પુલ પાસે દરગાહ નજીક રોડ પર પગપાળા જઇ રહેલા નવાગામ રૂડા ટ્રાન્સપોર્ટ નગર પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં લાખુબેન બચુભાઇ જખાણીયા (ઉ.વ.૭૦) આઇસર ટ્રક નં. જીજે૦૧૪એકસ-૬૫૨૨ની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.જાણવા મળ્યા મુજબ નવાગામ ઝૂપડપટ્ટીમાં રહેતાં લાખુબેન ગઇકાલે બહાર ગયા હતાં. ચાલીને પરત ઘરે જતાં હતાં ત્યારે નવાગામ પુલ પાસે રોડ પર આઇસર ટ્રકની ઠોકરે ચડી જતાં કમરથી નીચેના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી આઇસરનો ચાલક ભાગી ગયો હતો. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મૃતકના પુત્ર કવાભાઇ બચુભાઇ જખાણીયા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી આઇસર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર વૃધ્ધાને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે.