કેન્દ્રમાં ટોકન આપવાના સમય પહેલા ના પાડી દેવાતા અનેક લોકો નિરાશ ??
નંદનવન સોસાયટી આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ બાબતે દેકારો
રાજકોટ તા. ૭ : રૈયા ચોકડી નજીક નંદનવન સોસાયટીમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં વેકસીનેશન માટે સવારે ૮-૩૦ વાગ્યે આપવાના સમય પહેલા જ અનેક લોકોને આજે ટોકન નહિ મળે તેમ જણાવી દેવાતા અનેક સીનીયર સીટીજનોને નિરાશ થઇને પરત ફરવું પડયું હતું.
આજે સવારે ૮-૩૦ વાગ્યે અસંખ્ય લોકો ટોકન લેવા માટે આવેલ ત્યારે અનેક લોકો લાઇનમાં ગોઠવાય ગયા હતા. અને ત્યાં આસપાસ રહેતા લોકોએ અગાઉથી ર૦૦ થી રરપ લોકોનું લીસ્ટ બની ગયેલ હોય આજે ૮-૩૦ વાગ્યે આવનાર લોકોને ટોકન મળશે નહિં તેમ જણાવેલ અને વહેલી સવારેજ કેટલાક લોકોએ આવીને પોતાની રીતે વેકસીનેશન માટે લીસ્ટ બનાવી લીધાનું ચર્ચાતુ હતું.
ઘણા લોકોમાં એવુ પણ ચર્ચાતું હતું કે ટોકન આપવાના સમય પહેલા આવી રીતે વહેલી સવારે અગાઉથી લીસ્ટ બનાવવાનું કેટલુ વ્યાજબી કહેવાય.
આમ ટોકન આપ્યા પહેલા અગાઉથી લીસ્ટ બનાવતા સવારે ૮-૦૦ કલાકે આવેલ અનેક લોકોને પરત ફરવું પડયું હોવાનું જાણવા મળેલ છે.
એવી પણ ચર્ચા છે કે રાજકીય વગદાર કોઇ કાર્યકરની કળા આ ચર્ચાતા લીસ્ટ પાછળ કામ કરી ગઇ છે. ઉપર સુધી જાણ કરાયાનું બહાર આવ્યું છે.