રાજકોટના ધમલપરના પરિવારજનોને બાવળા પાસે અકસ્માત : મહિલાનું મોત
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૭ : રાજકોટના ધમલપર ગામે રહેતા મંજુબેન જયંતિભાઈ જખાણીયા (ઉ.૪૦), તેના પતિ જેન્તીભાઈ અજમલભાઈ જખાણીયા (ઉ.૪૫), જેન્તીભાઈના સસરા ખીમાભાઈ ધરમશીભાઈ સોલંકી (ઉ.૫૫), સાસુ લીલુબેન ખીમાભાઈ સોલંકી (ઉ.૫૩), સાળો અજય ખીમાભાઈ સોલંકી (ઉ.૩૦) અમદાવાદ રહેતા સાઢુ અજય અજમલભાઈ (ઉ.૪૦) અને સાળી શોભનાબેન અજયભાઈ (ઉ.૩૮) ધમલપર ગામથી ચોટીલા દર્શન કરી અમદાવાદ જઈ રહ્યાં હતા ત્યારે બાવળાના જાંગોદર ગામ નજીક પહોંચતા કાર ચાલકે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ધમલપરના મંજુબેન જયંતિભાઈ જખાણીયાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મંજુબેન જખાણીયાએ હોસ્પિટલનાં બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મળતક મંજુબેન જખાણીયાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. ધમલપર ગામથી પરિવાર ચોટીલા દર્શન કરવા ગયો હતો.
ચોટીલા દર્શન કરી પરિવાર અમદાવાદ અજયભાઈ અજમલભાઈના ઘરે જતાં હતાં ત્યારે કાર પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.