News of Thursday, 7th July 2022
દેણું થઇ જવાને કારણે મનહરપુરમાં વિજય ઝાલાનો ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
પત્નિ જોઇ જતાં જીવ બચાવી લીધોઃ અમુક પાસેથી વ્યાજે નાણા લીધા'તા
રાજકોટ તા. ૭: જામનગર રોડ પર મનહરપુરમાં નવી બની રહેલી કોર્ટ નજીક રહેતાં વિજય મોહનભાઇ ઝાલા (વાલ્મિકી) (ઉ.વ.૨૨) નામના યુવાને ઘરે લોખંડના એંગલમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં પત્નિ કિંજલ જોઇ જતાં જીવ બચાવી લઇ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. વિજય રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પત્નિએ જણાવ્યું હતું કે પતિ દેણામાં ડુબી જતાં આ પગલુ ભર્યુ છે. તેણે કેટલાક લોકો પાસેથી વ્યાજે નાણા પણ લીધા હતાં. જો કે કોની પાસેથી કેટલા લીધા હતાં? તે અંગે પોતે અજાણ હોવાનું કહ્યું હતું.
(12:16 pm IST)