ન્યારામાં ગુરૂપૂર્ણિમા ધામધૂમથી ઉજવાશે
પાદુકા પૂજન, ઉત્સવ આરતી, મહાપ્રસાદ, જીવદયા સેવાયજ્ઞ સહીતના આયોજનો
રાજકોટ,તા.૭: જામનગર રોડ ઉપર આવેલ ન્યારા આશ્રમ ખાતે તા.૧૩ના બુધવારે ગુરૂપૂર્ણિમા ધામે ધુમે ઉજવવામાં આવશે. છેલ્લા બે વર્ષની કોરોનાકાળમાં સતત ભય હોવાથી સાદાઈથી ઉજવાતી હતી પણ આ વખતે શ્રી સદ્દગુરૂની કૃપાથી ધામે ધૂમે ઉજવવા આયોજન કરાયું છે.
ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે મંગળા આરતી સવારે ૬:૩૦ કલાકે, પાદુકા પુજન સવારે ૯ કલાકે, ઉત્સવ આરતી બપોરે ૧૧:૩૦ કલાકે, મહાપ્રસાદ બપોરે ૧૨ થી ૨:૩૦ વાગ્યા સુધી, સંધ્યા આરતી સાંજે ૭ કલાકે તેમજ પાદુકા સ્પર્શ દર્શનનો લાભ સવારથી સાંજે સુધી રહેશે. સવારના પહોરમાં ગાયોને ઘાસચારો અપાશે તથા કુતરાને લાડુ જમાડવામાં આવશે. ન્યારા ગામના બાળકોને બટુક ભોજન કરવામાં આવશે.
આવનાર દરેક ગુરૂ ભાઈઓ તથા બહેનોને રક્ષાદોરીની પ્રસાદી દેવામાં આવશે. વ્રતવાળા બહેનોને મોળા ફરાળની વ્યવસ્થા જુદી રાખેલ છે.
શીખરબધ્ધ આશ્રમ બની ગયા પછી ન્યારા આશ્રમનો મહીમા અનેરો જ છે. આશ્રમમાં હવે બે રૂમ જ લખવાના બાકી છે. કોઈ વડીલોના નામે તકતી લગાવવી હોય કે પછી ગુરૂપૂર્ણીમાના ઉત્સવમાં કોઈને સામગ્રી લખાવવા ઈચ્છતા હોય તેઓ વધુ વિગત માટે મો.૯૮૨૫૪ ૨૪૬૦૪ ઉપર સંપર્ક કરી શકે છે.